એક તરફ સરકાર બેરોગારોને રોજગારી આપવાના વચનો આપી રહી છે તો બીજી તરફ આ જ સરકારના રેઢિયાળ માર્ગ અને વાહનવ્યવહાર વિભાગની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવકને નોકરીથી વંચિત રહેવું પડયું છે.યુવકે વાહન વ્યવહાર વિભાગમાં નોકરી માટે અરજી તો કરી હતી પરંતુ અસલ ડોક્યુમેન્ટની ચકાસણીની ખબર આપતો પત્ર વાહનવ્યવહાર વિભાગની જ બેદરકારીના કારણે તારીખ વીતી ગયા બાદ મળ્યો અને એક આશાસ્પદ યુવાનનું સ્વપ્ન રોળાઈ ગયું. જોઈએ આ અહેવાલ....
અરવલ્લી જિલ્લાના જાલમખાંટના મુવાડા ગામના શૈલેષ નામના આ યુવકે સરકારી નોકરી માટે પૂરી તૈયાર કરી હતી. અનેક સપનાઓ સાથે તેણે વાહન વ્યવહાર નિગમમાં હિસાબી અધિકારી વર્ગ 2 ની નોકરી માટે ઓનલાઈન અરજી કરી હતી. પોતે પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થઈ ગયા હતા. બસ માત્ર હવે ઓરિજિનલ પ્રમાણપત્રોની ખરાઈનો એક માત્ર તબક્કો બાકી હતો.
તેઓ સરકારમાંથી આવતા પત્રની રાહ જોઈ રહ્યા હતા અને એક દિવસ તેમના હાથમાં ડોક્યુમેન્ટની ખરાઈ માટે વિભાગમાંથી બોલાવતો પત્ર પણ આવ્યો. તેઓ ખૂબ ખુશ થયા હતા. કેમકે હવે તેમના સપના સાકાર થવાને માત્ર કલાકો બાકી હતા. પરંતુ જ્યારે તેમણે કોલ લેટર વાંચવાનું શરૂ કર્યું તો તો તેમના પર દિશાઓ ઢાંકી દેતા વાદળો છવાઈ ગયા.
કેમકે,તેમને ઈન્ટરવ્યૂનો કોલ લેટર ચોથી મેના દિવસે મળ્યો હતો. જ્યારે ઈન્ટવ્યૂ બીજી મેના દિવસે યોજાઈ ગયો હતો. એટલે કે ઈન્ટવ્યૂની તારીખ વીતી ગયા બાદ બે દિવસ મોટો તેમને સ્પીડ પોસ્ટ વાળો પત્ર મળ્યો. વાહનવ્યવહાર વિભાગની ઘોર બેદરકારી જુઓ આ જે કોલલેટર છે તે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેનો ટ્રેકર નંબર EG215739558IN છે.
સ્પીડ પોસ્ટના ટ્રેકર સોફ્ટવેરમાં તપાસ કરતાં જે હકીકત સામે આવી તે આંખ ખોલી નાખનારી છે. આ જે કોલ લેટર છે તે કોલ લેટર ઈન્ટરવ્યૂની તારીખ બાદ બીજા દિવસે એટલેકે, 3 તારીખે માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વાર સ્પીડ પોસ્ટ કરવામાં આવ્યું હોય તેવુ સામે આવ્યું છે. તંત્રની ભૂલના કારણે નોકરીથી વંચિત રહેલો યુવક ફરીવાર ઈન્ટર્વ્યૂ ગોઠવાય તેવી માંગ કરી રહ્યો છે.
હાલ તો જે વિભાગે પરીક્ષા યોજી છે તેવા વાહન વ્યવહાર વિભાગની જ ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવકને નોકરીથી વંચિત રહેવું પડયું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામના આ યુવકના સપના પર નિરાશાના વાદળ છવાઈ ગયા છે.
કેમકે, જે સરકાર નોકરીના વચનો આપતી હોય તે જ સરકારનો એક વિભાગ કે જેણે પરીક્ષા યોજી હોય તે જ ઉમેદવારોને જાણ કરવા માટેના લેટર પોસ્ટ કરવામાં આટલી બેદરકારી દાખવે ત્યારે માત્ર ઉમેદવારોની આશા પર જ પાણી ફરી વળે છે તેવું નથી. સરકારી વ્યવસ્થાતંત્ર પરથી ભરોસો પણ ઊઠી જાય છે અને તંત્ર ટપાલ હાથમાં આપ્યાની ફરજ પૂરી કરીને સંતોષ અનુભવી લે છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર યુવાનોને નોકરી આપવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના જે તે સંબંધિત વિભાગોની બેદરકારીના કારણે અનેક આશાસ્પદ યુવાઓને નોકરીથી વંચિત રહેવું પડે છે આ ભૂલ પોસ્ટની ન હતી.
આ પરીક્ષાયોજક પરિવહન વિભાગના કર્મચારીની જ હતી કે જેણે બેદરકારીપૂર્વક ઈન્ટરવ્યૂના બીજા દિવસે લેટર પોસ્ટ કર્યો હતો. સરકારે આ ગંભીર બેદરકારી ધ્યાને લઈને એક પ્રામાણિક યુવકને બીજી તક આપવાનો માનવતા ભર્યો અભિગમ દાખવવો જોઈએ. એટલું જ નહીં. આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ થાય તો મોટું ષડયંત્ર સામે આવે તેવી સંભાવના છે.