અરવલ્લી જીલ્લામાં મેઘરજ તાલુકામાં ભૂમિપુત્રો દ્વારા જાત મહેનતે ચેકડેમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રમાડા સહીત સાત ગામના લોકોએ વાત્રક નદીમાં ચોમાસના પાણીને રોકવા ચેકડેમ બનાવી રહ્યા છે. સરકારે માંગણી નહિ સ્વીકારતા લોકોએ જાતે કામ શરૂ કર્યુ હતું.
બાયડના કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. સ્થળ પર કામ કરતા લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મદદની સાંત્વના પાઠવી હતી. સરકારને તેઓ રજૂઆત કરશે તેવી બાહેધરી આપી હતી. તેમણે આક્ષેપ કર્યા હતા કે સરકાર જળસંચયના નામે માત્ર તાયફા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને વરસાદના આગમનની સૌ કોઇ રાહ જોઇને બેઠા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેડૂતોએ વરસાદી પાણીના બચાવ માટે જાતે ચેકડેમ બાંધવાની ટેક લીધી છે. અરવલ્લીના મેઘરજ ગામ નજીક આવેલ 7 ગામના લોકોએ વાત્રક નદીમાં ચોમાસામાં આવતા પાણીનો સંગ્રહ કરવામાંટે ચેકડેમ બનાવવાની શરૂઆત કરી છે.
રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતા સ્થાનિક ધારાસભ્ય કે તંત્ર કે સરકાર દ્વારા ચેકડેમ બનાવવા માટે કોઇપણ પ્રકારના સહાય કરવામાં નહીં આવતા ગ્રામજનોએ અપને હાથ જગન્નાથ માનીને વાત્રક નદીમાં પાણીનો સંગ્રહ થાય અને તે પાણી સિંચાઇ માટે ઉપયોગમાં આવે તેવા હેતુથી જાતે ચેકડેમ બાંધવાની શરૂઆત કરી હતી. આ ઘટનાની જાણ કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.
ધવલ સિંહ ઝાલાએ આ મુદ્દે ગ્રામજનોના પ્રશ્નની રજૂઆત પોતે કરશે તેની બાંહેધરી આપીને ચેકડેમ બનાવવાની ગ્રામજનોની મહેનતને બિરદાવી હતી. આપને જણાવી દઇએ કે સરકાર એક તરફ જળસંચય અભિયાન ચલાવીને પાણી બચાવોના પ્રયાસ હાથ ધરે છે.
ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ગ્રામજનોએ જાત મહેનતે પાણી બચાવવા માટે ચેકડેમ બનાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. હાલ 500 થી વધુ લોકો આ ભગીરથ કાર્યમાં શ્રમદાન કરવા જોડાયા અને ચેકડેમ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. ત્યારે આ લોકોની વહારે કેટલીક સમાજ સેવી સંસ્થાઓ આવી સંસ્થાઓએ સિમેન્ટ અને લોખંડનો સહયોગ આપ્યો.
અત્યાર સુધીમાં 500 થેલીઓ સિમેન્ટ ભેટમાં આવી છે. ત્યારે આ સાત ગામોના લોકોએ સરકારને પણ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી હાલ આ ચેકડેમનું કામ 30 ટકા જેટલું પૂર્ણ કર્યું છે અને ચોમાસા પહેલા આ કામ સંપૂર્ણ પૂરું થઈ જશે. ત્યારે આ આ કામમાં લોકોએ શ્રમદાનમાં રેડેલો પોતાનો પરસેવાની સામે ચોમાસામાં 10 ટકા પણ પાણીનો સંગ્રહ થશે. તો તે તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવું માની તેઓ આ કાર્ય કરી રહયા છે.