અરવલ્લીમાં ટેકાના ભાવ સરકાર દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે. મગફળીની ખરીદીમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. તંત્ર દ્વારા એક ખેડૂત પાસેથી એક દિવસમાં 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવી છે.
આ નિયમનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 125 મણ મગફળી વેચ્યા બાદ ખેડૂતોને બીજા રાઉન્ડમાં મગફળી વેચવી પડશે. હાલમાં ચાલી રહેલી ધીમી કામગીરીના કારણે મહિનાઓ સુધી ખેડૂતોને રાહ જોવી પડશે. જેના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યાં છે. જેમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4890 ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ભાવમાં રાજ્ય સરકારે બોનસ જાહેર કર્યું છે. જેમાં મણ દીઠ 22 રૂપિયા વધ્યા છે.
આ સાથે રાજ્યમાં 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવીને પોતાનો પાક સરકારને વહેંચી શકે છે. જેના માટે સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રમાં ખેડૂતો નોંધણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. મગફળીની ખરીદીની નોંધણી સમયે ખેડૂતોએ 7/12ના ઉતારા અને 8-અની નકલ જોડવાની હોય છે. ત્યારે અરવલ્લી માર્કેટ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી પરંતુ કામગીરી ધીમી હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.