અરવલ્લીના ખંભીસર ગામમાં વરઘોડો કાઢવા મામલે થયેલી માથાકૂટમાં અત્યાર સુધી બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તો ગામમાં હાલ શાંતિ સ્થપાઈ છે. ત્યારે હજુ પણ પોલીસ બંદોબસ્ત યથાવત્ રહેશે અને પોલીસ દ્વારા ગામમાં સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે DYSP ફાલ્ગુની પટેલે નિવેદન આપ્યું છે.
ફાલ્ગુની પટેલે જણાવ્યું કે, અથડામણ મામલે 200થી 300 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બનાવ સમયે ફાલ્ગુની પટેલનો અભદ્ર ટિપ્પણી વાળો વીડિયો વાયરલ થયો હતો. તેના પર તેમને પોલીસ કાર્યવાહીમાં સહકાર આપવાનું જણાવ્યું હતું.
સાથે જ જણાવ્યું કે કાર્યવાહીમાં કોઈ ચૂક રહી નથી અને ભજન કિર્તન તેમજ વરઘાડોની કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ જણાવ્યું. તો આ તરફ રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ગામમાં પોલીસ બંદોબસ્ત હજુ પણ યથાવત્ રહેશે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપવાની કાર્યવાહી ચાલુ છે અને જ્યાં સુધી દલિત સમાજના લોકો પોતાને સુરક્ષિત નહીં માને ત્યાં સુધી અહીં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આપવામાં આવશે.