અરવલ્લી જીલ્લામાં બટાકાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ થતા બટાકાના પાકને નુકશાન થતા ખેડૂતો પરેશાન બન્યા છે. દવાના છંટકાવ બાદ પણ જીવાત નહિ મરતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.
અરવલ્લી જિલ્લામાં 35 હજાર હેક્ટરમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર
બટાકામાં મોલો-મસી નામની જીવાતનો ઉપદ્રવ
બટાકાના પાકને ભારે નુકસાન
અરવલ્લી જીલ્લામાં ચોમાસા બાદ રવિ સીજનમાં સૌથી વધુ ઘઉંના વાવેતર બાદ બીજા ક્રમે ૩૫ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ બટાકા નું વાવેતર કર્યું છે.ખેડૂતો બટાકાનું વાવેતર કરવા માટે હરિયાણા પંજાબ તેમજ ગુજરાતના જુદા જુદા સ્થળોએ થી બિયારણ લાવી વાવેતર કર્યું છે ત્યારે હાલ બટાકાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ થયો છે
બટાકામાં મોલો-મસી નામની જીવાતનો ઉપદ્રવ
આ મોલો મસી નામની જીવાત બટાકાના પાકના પાન કોરી ખાય છે જેના કારણે બટાકાનો વિકાસ અટકી ગયો છે.ખેડૂતો આ જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે પણ જીવાત મરતી નથી અને સતત પાકને નુકશાન થઇ રહ્યું છે જેથી ખેડૂતો એ મોઘાભાવે વાવેતર કરેલા પાક ઉપર ખતરો ઉભો થતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને ખેતીવાડી વિભાગ દ્વારા આ માટે સર્વે કરી નિયત્રણ માટે યોગ્ય પગલા ભરાય તેવી માંગ કરી રહ્યા છે.
જીવાતનો ઉપાય
આ અંગે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે વાતાવરણ માં થયેલા ફેરફાર નાં કારણે હાલ બટાકાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે શરૂઆતના સ્ટેજમાં દાયોબીતીઓ 30 દવાનો સ્પ્રે અંદાજીત 300 થી 400 લીટર પાણીમાં મિક્ષ કરી છંટકાવ કરવો જોઈએ તેમજ વારંવાર દવા છંટકાવ કરી જીવાત ઉપર નિયત્રણ મેળવી શકાય છે.