ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલમાં ઈથેનોલની માત્રાને વધારી દેવાને મંજૂરી આપી દેવામાં આવી છે.
હવે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલને મંજૂરી
વાતાવરણને થશે ફાયદો
ખેડૂતોની આવકમાં પણ થશે વધારો
સડક પરિવહન મંત્રાલય દ્વારા લેવાયો નિર્ણય
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ લાગી ગઈ છે ત્યારે આજે રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં હવે પેટ્રોલમાં ઈથેનોલની માત્રાને વધારીને 20 ટકા કરી દેવા મંજૂરી આપી દીધી છે. 8 માર્ચના રોજ સડક અને પરિવહન મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરવામાં આવી જેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
કંપનીઓને થશે ફાયદો
નોંધનીય છે કે સરકારના આ નિર્ણયથી દ્વારીકેશ, બલરામપુર અને ધામપુર જેવી ઈથેનોલ બનાવતી કંપનીને જોરદાર ફાયદો મળવાનો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈથેનોલ વાતાવરણ માટે સારું છે કારણ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સામાન્ય પેટ્રોલની તુલનામાં ખૂબ ઓછું નીકળે છે.
ક્યારથી ઈથેનોલ વાપરી રહ્યું છે ભારત
ભારતમાં વર્ષ 2008માં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલને મંજૂરી આપવામાં આવી હતી. જોકે ઉપલબ્ધતા ન હોવાના કારણે 6 ટકાથી પણ ઓછું ઈથેનોલ વાપરવામાં આવે છે. વર્ષ 2014માં 1 ટકાથી પણ ઓછું ઈથેનોલ ભેળવવામાં આવતું હતું જે વધારીને 8.5 ટકા કરવા આવ્યું અને 2030 સુધી લક્ષ્ય છે કે તેને 20 ટકા કરવામાં આવે.
E20 પેટ્રોલના ફાયદા
ઈથેનોલના ઉપયોગથી પેટ્રોલિયમ પર ભારતની નિર્ભરતા ઓછી થઈ જશે
કાર્બન ડાયોક્સાઈડ ઓછું નીકળશે જેથી વાતાવરણમાં નુકસાન ઓછું થશે
ઈથેનોલથી ખેડૂતોને ફાયદો થશે અને તેમની આવક વધશે
શેરડી-મકાઇ અને અન્ય પાકમાંથી બનાવવામાં આવે છે ઈથેનોલ
જૉ નિર્ણય સફળ રહ્યો તો પેટ્રોલની કિંમતમાં રાહત મળશે