આગામી બે વર્ષ સુધી નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા રાજ્યના શાળા સંચાલક મહામંડળે કરી અપીલ, શિક્ષણ વિભાગમાં પત્ર લખીને કરી રજૂઆત
નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા અપીલ
ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ
રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગને લખ્યો પત્ર
રાજ્યમાં વધી રહેલી ખાનગી શાળાઓના વ્યાપને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા અપીલ કરી છે. તો બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓને તાળા લગાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા ડીઇઓને અરજી કરી છે. ત્યારે હવે આગામી બે વર્ષ માટે ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવાની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ કરી છે.
'બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ મુકો'
રાજ્યના શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યું છે કે નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવામાં આવે.નવી શાળાને મંજૂરી ન મળે તો જ ગ્રાન્ટેડ શાળાને જીવનદાન મળવાનો શાળા સંચાલક મહામંડળે દાવો કર્યો છે.રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક નીતિઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે. તો આ રજૂઆતને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે નવી શાળાની મંજૂરી માટે અરજીઓ મંગાવી છે. જુલાઇ સુધી નવી શાળા શરુ કરવા અરજી કરી શકાશે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ એ જણાવ્યું કે આગામી બે વર્ષ માટે રાજ્યમાં નવી સ્વનિર્ભર સ્કૂલને મંજૂરી ના આપવા અપીલ કરાઇ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે.
ગ્રાન્ટઇન સ્કૂલોનું અસ્તિત્વ જોખમમાં
મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 1400 થી વધુ ગ્રાન્ટઇન સ્કૂલોને તાળા લાગ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા DEO ને અરજી કરી છે. સરકારની નીતિ સામે ગ્રાન્ટઇન સ્કૂલના સંચાલકો થાકીને સ્કૂલો બંધ કરવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રાન્ટઇન સ્કૂલો બંધ થશે તો ધોરણ 9થી 12 નું શિક્ષણ મોંઘું બનશે એ નક્કી છે. સ્કૂલ નિભાવ ખર્ચ સરકારે પરિણામ આધારિત કરતા સ્કૂલોને મોટો ફટકો પડી રહ્યો છે.