જામનગરમાં ભાગવત સપ્તાહમાં આયોજિત લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ
ડાયરામાં રૂપિયાનો વરસાદ
જામનગરમાં યોજાયો હતો લોકડાયરો
ભાગવત સપ્તાહનું કરાયું હતું આયોજન
ગુજરાતમાં ડાયરો થાય અને નોટોનો વરસાદ થયા વિના રહે ખરા ? ત્યારે વધુ એકવાર જામનગરના લોકડાયરામાં રુપિયાનો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં ભજનિક અલ્પા પટેલ અને લોક સાહિત્યકાર દેવાયત ખાવડનો ડાયરો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોની સાથે સાથે સંતોએ પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ઈન્દ્રભારતી બાપુએ પણ કર્યો નોટનો વરસાદ
મહત્વનું છે કે જામનગરમાં ભાગવત સપ્તાહ બેઠી હતી. તેના પહેલા દિવસે રાત્રિએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર સૌ નાગરિકોએ ડાયરાના સુરમાં તલ્લીન બન્યા હતા. ભાવિક નાગરિકોની સાથે સાથે સંતો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.. ઇન્દ્ર ભારતી બાપુ અને ભાઇ શ્રી રમેશ ઓઝા પર પણ નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઇન્દ્રભારતી બાપુએ પણ નોટોનો વરસાદ કર્યો હતો.
કથાકાર રમેશભાઇ ઓઝા રહ્યા હતા હાજર
મુખ્ય કથાકાર રમેશભાઈ ઓઝા લોકસાહિત્યકાર દેવાયત ખાવડનાં લોકગીતો તેમજ લોકસાહિત્યની વાતો સાંભળવા માટે રાત્રિના 12 વાગ્યા સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા, એમાં તેમણે દેવાયત ખવડની લોકસાહિત્યને લગતી વાતો અને દેશભક્તિ સહિતનાં ગીતો સાંભળ્યાં હતાં.જૂનાગઢના સુપ્રસિદ્ધ ઇન્દ્રભારતી બાપુએ પણ રાત્રિ કાર્યક્રમ દરમિયાન વિશેષ હાજરી આપી હતી. તેમનું યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરિયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા તેમજ ભાવનગરના ચતુરસિંહજી ગોહિલ અને અરૂણસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હોવાથી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં પણ લોકડાયરામાં રુપિયાનો વરસાદ
રાજકોટના રાજપરામાં પણ લોકડાયરો યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જો કે તે તમામ રુપિયા સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવશે તેમ જણાવ્યું હતું,
વલસાડમાં પણ ડાયરામાં રુપિયાનો વરસાદ
વલસાડના ધમડાચીમાં લોકડાયરામાં નોટોનો વરસાદ થયો હતો...ગિરિરાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લોકડાયરામાં રાજભા ગઢવી સહિતના કલાકારો પર નોટોનો વરસાદ થયો હતો...આ લોકડાયરો ગૌસેવાના લાભાર્થે યોજાયો હતો..