વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારશથી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારનાં પાપોનો નાશ પણ થઈ જાય છે. તેથી આ અગિયારશ અપરાના નામથી પ્રસિદ્ધ છે. ભગવાનને અગિયારશની તિથિ પરમ પ્રિય છે. તેથી અગિયારશ વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે.
અગિયારશ ભક્તની જનની છે. અને જનનીના આશીર્વાદથી જે રીતે બધાં પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે અગિયારશના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે.વ્રત ત્યાં સુધી પૂર્ણ નથી થતું જ્યાં સુધી તેના પારણાં યોગ્ય સમય પર ન કરવામાં આવે.
અપરા એકાદશીની વ્રત કથા
શ્રી યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! “વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે?તે કૃપા કરીને કહો.” શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજન! વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ‘અપરા’ છે. કારણ કે તે અપાર ધન આપનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે,તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે.
અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂત યોનિ, બીજાની નિંદા આદિનાં પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારનાં પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ,ખોટું વેદનું વાચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષી, ખોટા વૈધ આદિ બધાનાં પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તે નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જે ફળ ત્રણ પુષ્કરમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડ દાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિને ગુરુવારના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીનાં દર્શન કરવાથી તથા બદરિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે.
હાથી ઘોડાનાં દાનથી તથા યજ્ઞમાં સોનાનાં દાનથી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશીનાં વ્રતનાં ફળની બરાબર છે. હાલમાં જ વિયાએલી ગાય, ભૂમિ અથવા સોનાનાં દાનનું ફળ પણ આ વ્રતનાં ફળ બરોબર હોય છે.
અપરા એકાદશીનું વ્રત પાપ રૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધાં વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે.•