પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે તેનો ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર' છે. પાકિસ્તાને ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારતે આ નદીઓના પાણીમાં બદલાવ કરવાની કોશિશ કરી તો તેને 'ઉશ્કેરણીજનક કાર્યવાહી' માનવામાં આવશે. પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હરિયાણામાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું પાણી રોકવાની વાત કહી હતી.
પાકે. કહ્યું - તેનો ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર' છે
PM મોદીએ કહ્યું હતું, તેમની સરકાર પાકિસ્તાનને મળનારુ પાણી રોકશે
પીએમ મોદીએ આ સપ્તાહે જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમની સરકાર પાકિસ્તાનને મળનારુ પાણી રોકશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે કહ્યું કે સિન્ધુ જળ સમજુતી હેઠળ પાકિસ્તાનની પાસે ત્રણ પશ્ચિમી નદીઓ પર 'વિશેષાધિકાર' છે.
ફેસલે નદીઓના નામ લીધા વિના કહ્યું, 'જો ભારતે આ નદીઓના પાણીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી માનવામાં આવશે અને પાકિસ્તાન તેનો જવાબ આપશે.'
નોંધનીય છે કે ભારત દ્વારા જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણો તણાવ છે. પાકિસ્તાન ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દાને ઉઠાવી ચૂક્યું છે. જ્યારે ભારત દુનિયાના તમામ દેશોને કહી ચૂક્યું છે કે જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કોઇપણ ઘટના ભારતનો આંતરિક મામલો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે અહીંના ખેડૂતોનું પાણી પાકિસ્તાનમાં નહીં જવા દે. એમણે કહ્યું કે જે પાણી પાકિસ્તાનમાં વહી રહ્યું છે, તેના પર હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતોનો અધિકાર છે પહેલાની સરકારોએ તેને રોક્યું નથી, પરંતુ અમે રોકશું.