IPL ટૂર્નામેન્ટમાં ગઈકાલે બેંગ્લોર અને પંજાબની મેચ થઇ તેમાં કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સુનિલ ગાવસ્કરની એક ટિપ્પણી બાદ હવે ભારે વિવાદ શરુ થયો છે. જે બાદ હવે અનુષ્કાર પણ સુનીલને જડબાતોડ જવાબ આપ્યો છે.
ગઇકાલની મેચમાં પંજાબ સામે વિરાટસેનાનો ધબડકો
સુનિલ ગાવસ્કરે કરી એવી ટિપ્પણી કરી કે ભારે વિવાદ શરુ
સોશ્યલ મીડિયા પર ભડકી ઉઠેલા લોકોએ ગાવસ્કરને હટાવી દેવા માંગ કરી
અનુષ્કા પર આપત્તિજનક ટિપ્પણીના કારણે વિવાદ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને ફરીવાર વિવાદ શરુ થયો છે અને આ વખતે ભારતીય ક્રિકેટ મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે આ વિવાદને જન્મ આપ્યો છે. ગાવસ્કરે ચાલુ મેચમાં વિરાટના પ્રદર્શનને લઈને એવી કોમેન્ટ કરી કે હવે લોકો ભડકી ઉઠ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો કહી રહ્યા છેકે એક મહાન ક્રિકેટર દ્વારા આ ખરાબ હરકત કરવામાં આવી છે.
અનુષ્કાએ આપ્યો જવાબ
અનુષ્કાએ સોશ્યલ મીડિયામાં ગાવસ્કરને જોરદાર જવાબ આપ્યો છે. તેમણે ઈન્સ્ટામાં એક સ્ટોરી અપલોડ કરીને કહ્યું કે મિસ્ટર ગાવસ્કર, તમે જે કહ્યું તે સારું ન હતું પણ મને સારું લાગશે કે તમે જણાવી શકો કે પતિના ખેલના કારણે તેની પત્ની પર આરોપ લગાવો એવી ટિપ્પણી વિશે તમે કેમ વિચાર્યું ? મને ખબર છે આટલા વર્ષમાં તમે ખેલાડીઓના અંગત જીવનનું સન્માન કર્યું છે, શું તમને નથી લાગતું કે તે જ સન્માન તમારે અમારા માટે પણ રાખવું જોઈએ ?
મને વિશ્વાસ છે કે ગતરાત્રીએ મારા પતિના પ્રદર્શન પર કોમેન્ટ કરવા માટે તમારા મનમાં કેટલાય વાક્ય અને શબ્દ આવ્યા હશે. આ 2020 છે અને મારા માટે વસ્તુઓ હજુ બદલાઈ નથી. ક્યારે એવું થશે કે મને ક્રિકેટમાં ખેંચવાનું બંધ કરવામાં આવે અને આ રીતે ટિપ્પણીઓ બંધ કરવામાં આવશે ?
આદરણીય ગાવસ્કર, તમે એક મહાન છો જેમને ભદ્ર લોકોની રમતમાં ઊંચા સ્થાન પર રાખવામાં આવ્યા છે. હું બસ તમને કહેવા માંગુ છું કે તમે આવું કહ્યું ત્યારે મને કેવું લાગ્યું.
લોકોના નિશાને આવ્યા ગાવસ્કર
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ખૂબ મોટા વિવાદમાં ફસાઈ ગયા છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ દરમિયાન તેમણે વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા વિશે આપત્તિજનક ટિપ્પણી કરી નાખી, નોંધનીય છે આ મેચમાં બેંગ્લોરનું પ્રદર્શન સારું રહ્યું નહીં અને તેમાં કોહલીએ રાહુલના જ બે બે કેચ છોડી અને તે બાદ બેટિંગમાં પણ વિરાટ સેનાનો ધબડકો પડ્યો. કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં અને એક રન બનાવીને આઉટ થઇ ગયા.
લોકોએ કહ્યું મહાન ક્રિકેટર થઇને આવી હરકત !
કોમેન્ટ્રી બોક્સમાં બેસેલા સુનીલ ગાવસ્કરે આ મુદ્દાને અનુષ્કા સાથે જોડીને ટિપ્પણી કરી નાખી અને તે બાદથી વિવાદ શરુ થઇ ગયો છે. સ્પોર્ટ્સ જગતનાં દિગ્ગજ ખેલાડી પર લોકો બળાપો કાઢી રહ્યા છે. ખાસ કરીને વિરાટના ચાહકો અત્યારે ખૂબ લાલઘૂમ થયા છે અને ગાવસ્કરને કોમેન્ટરી બોક્સમાંથી હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે.
બેંગ્લોરની ટીમ માટે મેચ ખૂબ ખરાબ રહી
નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે અભિનેત્રી અનુષ્કાને વિરાટ કોહલીના પ્રદર્શન સાથે જોડવામાં આવી હોય, આ પહેલા પણ ઘણીવાર વિરાટ કોહલી જ્યારે નિરાશાજનક પ્રદર્શન કરતા ત્યારે ઘણા બધા લોકો તેને અનુષ્કા સાથે જોડી દેતા હતા એવામાં કોહલી માટે દુબઈના મેદાન પર આ દિવસ સારો ન રહ્યો. મેચ બાદ તેમણે પોતે પણ કહ્યું કે આજનો દિવસ સારો ન રહ્યો. કોહલીએ બે બે વખત રાહુલના કેચ છોડ્યા.