બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર લાંબા સમયથી મિત્રો રહ્યાં છે અને બંનેએ સાથે મળીને કેટલીક મહાન ફિલ્મો પણ આપી છે. આ બંને કલાકારો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રોડક્ટ છે અને લાંબા સંઘર્ષ બાદ બંનેએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે રાજકીય મંતવ્યો અંગે ઘણાં મતભેદ ચાલી રહ્યાં છે અને બંને એકબીજાનું નામ લઈને સોશિયલ મીડિયા પર પ્રહારો કરી રહ્યાં છે. સૌથી પહેલાં નસીરૂદ્દીન શાહે અનુપમના રાજકીય વિચારો પર ટિપ્પણી કરી હતી.
અનુપમ અને નસીર વર્ષો જૂના મિત્રો છે
પણ છેલ્લા કેટલાય સમયથી બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે
ત્યારે અનુપમ બધું ભૂલાવીને સંબંધો સારાં કરવા માંગે છે
અનુપમ ખેરે થોડાં મહિના પહેલાં સીએએ પર સરકારનું સમર્થન કર્યું હતું, જેના પર નસીરે તેને જોકર અને ચાપલૂસ કહ્યો હતો. જેના જવાબમાં અનુપમે નસીરને હતાશ અને નશો કરનાર વ્યક્તિ કહ્યો હતો. જોકે, હવે અનુપમ નસીર સાથેના તેના સંબંધો ખરાબ થવા પર દુઃખી છે. હાલના એક ઈન્ટરવ્યૂમાં અનુપમે કહ્યું કે, આટલો લાંબો સમય સાથે રહ્યાં બાદ આ રીતે સંબંધો ખરાબ થવા પર હું દુઃખી છું. અનુપમે કહ્યું આવું માત્ર બે સાથે કામ કરવાવાળા કલાકારો સાથે જ નહીં પરંતુ મિત્રો અને સંબંધીઓ સાથે પણ થઈ જતું હોય છે. તમારા વિચારો અલગ હોઈ શકે છે અને આ જ જીવનની સત્યતા છે.
અનુપમ હવે નસીર સાથેના સંબંધો સુધારવા માંગે છે. તેણે કહ્યું- તેની પાસે નસીર સાથે પસાર કરેલો સારો સમય બચ્યો છે. તેણે કહ્યું કે, મેં નસીર પાસેથી ઘણું શીખ્યું છે અને તેઓ સીનિયર છે. તેણે કહ્યું નસીર માટે તેના દિલમાં એવું કંઈ નથી. અનુપમે કહ્યું કે, તે નસીરને ગળે લગાવવા માંગે છે કારણ કે જીવન ખૂબ જ ટૂંકું છે અને તેમાં વાતોને મનમાં લગાવીને બેસી ન રહેવું જોઈએ.
આગળ અનુપમે કહ્યું- નસીરે તેના માટે જે કંઈપણ કહ્યું છે અને તેની સામે અનુપમે જે પણ નસીરને કહ્યું છે તેના માટે તે ખૂબ જ દિલગીર છે. જોકે, હવે જોવાનું એ રહે છે કે નસીર અને અનુપમના સંબંધો ક્યારે સુધરે છે, કારણ કે ફેન્સ આ બંને મહાન કલાકારોને સાથે કામ કરતા જોવા માંગે છે.