અધિકારીએ જણાવ્યું કે NIA આ બાબતની તપાસ કરી રહી છે કે શું શેલાર અને જાધવ થાણેના વ્યાપારી મનસુખ હિરેનની હત્યામાં સંડોવાયેલા હતા જે અંબાણી આવાસ એંટીલિયાની બહાર 25 ફેબ્રુઆરીએ મળી આવેલ વિસ્ફોટક ભરેલી SUV સ્કોર્પિયો કારનો માલિક હતો?
મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી
કેસનું કનેક્શન મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ સુધી
ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં ઉદ્યોગપતિ અંબાણીના ઘરની બહાર એક SUV સ્કોર્પિયો કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી NIA દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, "સંતોષ શેલાર અને આનંદ જાદવની ધરપકડ 11 જૂને મલાડથી કરવામાં આવી હતી. બંને આરોપી અંબાણીના ઘર એંટીલિયાની પાસે મળી આવેલી વિસ્ફોટક ભરેલી SUV કાર મામલે સંડોવાયેલા હતા". ઠાણેની સેશન્સ કોર્ટે બંને આરોપીને 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
પોલીસ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ પણ હતા સંડોવાયેલા
મનસુખ હિરેનનો મૃતદેહ પાંચ માર્ચે થાણેના સમુદ્ર કિનારે મળ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર મુંબઈ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝે મનસુખ હિરેનના હત્યાકાંડમાં મુખ્ય આરોપી છે. જેને હવે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. અંબાણીની સુરક્ષામાં બેદરકારી અને મનસુખ હિરેનની હત્યાના મામલે હજુ સુધી, ત્રણ કોન્સ્ટેબલ સાથે ચાર પોલીસકર્મીઓ અને એક ક્રિકેટ સટ્ટેબાજની ધરપકડ કરવામાં આવી છે. મનસુખ હિરેનના હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ કોન્સ્ટેબલ અને ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રીને આપવું પડ્યું રાજીનામું
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર પણ આરોપ લગાવ્યા હતા. આ બાબતને લઈ છેલ્લાં કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉઠાલપથલ ચાલી રહી છે. તપાસ દરમિયાન થયેલ એક પછી એક ખુલાસાના કારણે ગૃહમંત્રી અનિલ દેશમુખને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડયું. જ્યારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહનું ટ્રાન્સફર કરી દેવમાં આવ્યું હતું.