આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરી અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બેટ)ની કોઈપણ ‘નાપાક’ હરકતને પહોંચી વળવા માટે ભારતીય સેના અને બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઇ લેવાયો નિર્ણય
સૈનિકોને આપવામાં આવશે એન્ટિ-માઈન બૂટ તથા અત્યાધુનિક નાઇટવિઝન કેમેરા
સરહદ પરના સંવેદનશીલ વિસ્તારોમાં સૈનિકોને એન્ટિ-માઈન બૂટ, અત્યાધુનિક નાઇટવિઝન કેમેરા, રેડિયો સેટથી સજ્જ બુલેટપ્રૂફ હેલમેટ પણ આપવામાં આવી રહ્યા છે. આ હેલમેટ દુશ્મનની બુલેટ માટે તો અભેદ્ય છે જ, પણ તોપો અને મોર્ટારના ગોળા ફાટવાથી નીકળેલા ઘાતક છરા પણ જવાનોનું કંઈ બગાડી નહીં શકે.
એલઓસીની ભૌગોલિક સ્થિતિ અત્યંત મુશ્કેલ
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથે જોડાયેલી 202 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ અને 776 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) છે. આ આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસીની ભૌગોલિક સ્થિતિ અત્યંત મુશ્કેલ છે, જે ઘુસણખોરો અને ‘બેટ’ ટુકડીઓને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતા અટકાવે છે.
અત્યાધુનિક ઉપકરણ ઉપલબ્ધ કરાવાયા
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં આતંકવાદીઓની ઘૂસણખોરીથી લઈને ‘બેટ’ના ઓપરેશન સુધીના ષડયંત્ર સતત ચાલુ રહે છે. સેના અને બીએસએફએ ઘુસણખોરી વિરોધી સિસ્ટમની સમીક્ષા કરીને તેમાં સુધારો કરી સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત સૈનિકો અને અધિકારીઓના ઉપકરણોને અત્યાધુનિક બનાવ્યા છે.
જવાનોને એન્ટિ- માઇન બૂટ આપવામાં આવ્યા
આ સંવેદનશીલ વિસ્તારોમાં બિછાવવામાં આવેલી લેન્ડમાઇન્સ (બારુદી સુરંગ)ના સ્થાન ઘણી વખત ભારે વરસાદ અને બરફ પડે એ દરમિયાન બદલાય જાય છે. પેટ્રોલિંગ દરમ્યાન સૈનિકો ઘણી વખત તેનો ભોગ પણ બનતા હોય છે. આ વિસ્તારોમાં જવાનોને એન્ટિ- માઇન બૂટ ઉપરાંત જમીનમાં દબાયેલા વિસ્ફોટક ઉપકરણોને શોધવા માટે અત્યાધુનિક મેટલ ડિટેક્ટર પણ આપવામાં આવ્યા છે.
સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરયા રેડિયો સેટ
જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત અને આતંક વિરોધી અભિયાનોમાં સામેલ સૈનિકો અને અધિકારીઓને અત્યાધુનિક સેન્સર અને નાઈટ વિઝન ડિવાઈસથી સજ્જ બુલેટપ્રૂફ હેલમેટ પણ આપવામાં આવી છે. એલઓસી પર ઓપરેશનલ પ્રવૃત્તિઓ અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નવી હેલમેટ અને તેની સાથેના નાઈટ વિઝન ડિવાઈસ (એનવીડી) અને રેડિયો સેટને તૈયાર કરવામાં આવ્યા છે.
કાનપુર સ્થિત સ્વદેશી કંપનીમાં કરાયું ઉત્પાદન
અગાઉ ઉપલબ્ધ એનવીડી અને હેલમેટ આટલા અસરકારક સાબિત થઈ શકતા ન હતા. જૂના એનવીડી રાતના અંધારામાં કોઈ ચોક્કસ સમય કે પરિસ્થિતિમાં દુશ્મનની ગતિવિધિઓ જોઈ શકતા નહોતા. હેલમેટ પણ તોપ અને મોર્ટારના શેલમાંથી નીકળતા છરામથી જવાનનું માથુ બચાવી શકે એવી સક્ષમ નહોતી. અદ્યતન એનવીડી અને સેન્સર્સથી સજ્જ નવી હેલમેટ સંપૂર્ણપણે સલામત છે. તે કાનપુર સ્થિત સ્વદેશી કંપની દ્વારા બનાવવામાં આવી છે.
આ હેલમેટને બેલિસ્ટિક હેલમેટ પણ કહેવામાં આવે છે. તે આખા માથાને સુરક્ષિત રાખે છે. બુલેટ તેને ભેદી શકતી નથી. તોપ, મોર્ટારના શેલ ફાટવાથી નીકળતા ઘાતક છરા અને તેના વિસ્ફોટો દરમિયાન ઉત્પન્ન થતા કંપન પણ હેલમેટને પાર કરી શકતા નથી.