ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. દિવાળીની ખરીદી કરી પરત ફરી રહેલા યુવકને આખલાએ અડફેટે લેતા મોત નિપજ્યું છે. તહેવારના દિવસે જ યુવકનું મોત થતાં ખુશી માતમમાં ફેરવાઈ છે.
ભાવનગરના માલપરા ગામે આખલાએ અડફેટે લેતા યુવકનું મૃત્યુ
યુવક ખરીદી કરીને પરત ઘરે જતા સમયે બન્યો બનાવ
48 કલાકમાં ભાવનગરમાં રખડતા ઢોરના કારણે બીજુ મૃત્યુ
ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો આંતક એટલી હદે વધ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. જિલ્લામાં 48 કલાકમાં રખડતા ઢોરના કારણે આ બીજું મોત થયું છે. તહેવાર પર 28 વર્ષીય યુવકનું મોત નિપજતા બે નાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના દુધાળા ગામનો કિશોર ગુજરાતની નામનો યુવક ભાવનગરથી દિવાળીની ખરીદી કરીને પરત આવી રહ્યો હતો. આ વેળાએ પાલીતાણા તાલુકાના માલપરા ગામે રખડતા આખલાએ તેને અડફેટે લીધો હતો. રખડતા આખલાએ યુવકને અડફેટે લેતા 28 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે
સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ
દિવાળીના પર્વ પર 28 વર્ષનાં યુવાન કિશોર ગુજરાતીએ રખડતા આખલાના કારણે જીવ ગુમાવતા પરિવારમાં બે નાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા 48 કલાકમાં ભાવનગરમાં રખડતા ઢોરના કારણે બીજુ મૃત્યુ નિપજ્યું છે. 23 ઓક્ટોબરે ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું મોત નિપજ્યું હતું. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું હતું.
સળગતા સવાલો
રખડતા પશુના ત્રાસથી લોકોને ક્યારે મુક્તિ મળશે?
હજુ રખડતા પશુ કેટલા લોકોનો જીવ લેશે?
યુવકનું મૃત્યુ થવા છતાં મનપાના પેટનું પાણી કેમ નથી હલતું?
હાઈકોર્ટના આદેશ બાદ પણ મનપા કાર્યવાહી કેમ નથી કરતું?
આ યુવકના મૃત્યુ પાછળ કોણ જવાબદાર?
ભાવનગર મનપા મૃત્યુની જવાબદારી લેશે?
રોડ પર પશુને છોડનારા આ દ્રશ્યો કેમ જોતા નથી?
મનપા રખડતા પશુને પકડવાની કામગીરી કેમ કરતું નથી?
2 દિવસ પહેલાં પણ એક મૃત્યુ થયું હતું, તો પણ તંત્ર કામગીરી કેમ નથી કરતું?