મારા ઘણા મિત્રો મને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનું કહી રહ્યા છે: દિગ્વિજય સિંહ
રાજસ્થાનમાં રાજકીય ડ્રામાને કારણે ગેહલોત પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ શકે
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, મારા ઘણા મિત્રો મને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનું કહી રહ્યા છે પરંતુ 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલુ છે. એટલું જ નહીં, એવી ચર્ચા છે કે, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાને કારણે અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. તેથી હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલની રેસ ચાલી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા સંબંધિત સવાલ પર દિગ્વિજય સિંહે કહ્યું કે, 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. મારા ઘણા મિત્રો મને ચૂંટણી લડવા માટે કહી રહ્યા છે. પરંતુ 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ. આ પહેલા પણ દિગ્વિજય સિંહે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. આ સાથે દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપે કોંગ્રેસની ચિંતા ન કરવી જોઈએ. તેઓએ દેશ વિશે વિચારવું જોઈએ. તેઓએ જાણવું જોઈએ કે, માત્ર વિપક્ષની ટીકા કરવાથી મુદ્દાઓ ઉકેલાશે નહીં.
17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જો એક કરતા વધુ ઉમેદવારો ચૂંટણી લડશે તો પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અશોક ગેહલોતે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેમને કોંગ્રેસ હાઈકમાન્ડનું સમર્થન પણ હતું, જ્યારે તેઓ શશિ થરૂરનો સામનો કરે તેવી અપેક્ષા હતી. જે બાદમાં હવે સંભવિત રીતે થરૂરે પણ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.