એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો થઈ રહી છે. બીજી તરફ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જ ગુજરાતના ભાવી સાથે ચેડા કરી રહ્યું છે. આવું અમે નહીં પરંતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કારણ કે ધોરણ ૬ ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલ નકશાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા ૭ જીલ્લાઓ ગાયબ કરી દેવામાં આવ્યા છે. એક તો વિદ્યાર્થીઓને પુસ્તકો મોડા મળી રહ્યા છે અને એમાં પણ છબરડાઓ સામે આવી રહ્યા છે.
ત્યારે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હિન્દી-ગુજરાતીમાં ભાષાકીય ભૂલો અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નકશાની ભૂલો મંડળ દ્વારા થઇ રહી છે. નવા અસ્તિત્વમાં આવેલ જિલ્લાઓનો નકશાઓમાં સમાવેશ નથી.
આવા ક્ષતિવાળા પુસ્તકોનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને અધકચરો અભ્યાસ પ્રાપ્ત થશે. જેના માટે પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગ જવાબદાર છે. અનેક સુવિધાઓ છતાં પણ આવી ક્ષતિઓ સામે આવી રહી છે.
ત્યારે જવાબદારો સામે પગલા ભરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. સાથે જ આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ વિભાગ ચેડા કરી રહ્યું છે.