વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, સસ્તા અનાજની દુકાનોમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બનાવીને અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનું આવ્યું સામે.
વડોદરામાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ
સસ્તા અનાજની દુકાનમાં થયું કૌભાંડ
એક વ્યક્તિના બનાવાયા 2-2 રાશનકાર્ડ
રાજ્યમાં કૌભાંડ ક્યારે બંધ થશે?
વડોદરામાં વધુ એક સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજની દુકાનોમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બનાવાયા છે. આ 2-2 રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. VTV ન્યૂઝ દ્વારા શહેરની પાંચ જેટલી દુકાનોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં આ દુકાનોમાં એક જ નામના વ્યક્તિના 2-2 રેશનકાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, VTV પાસે સ્ફોટક માહિતી આવી તો પુરવઠા વિભાગના અધિકારી કેમ અજાણ? આ એક મોટો સવાલ છે.
2 રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ
શહેરમા દક્ષાબેન જગદીશભાઈની હંગામી દુકાનમાં 23 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બનાવીને કૌભાંડ આચરાવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તો તૈલી બંસીલાલ ભગવાનલાલની દુકાનમાં 22 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બન્યા છે. જ્યારે જય હરસિદ્ધિ દુકાનમાં 20 કાર્ડધારકો, લક્ષ્મીબેન કૈલાશ ખત્રીની દુકાનમાં 10 કાર્ડધારકો અને ભાભોર અનિલ ટીસાભાઈની દુકાનમાં 7 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બન્યા છે.
અટલાદરામાં અનિલ ભાભોરની દુકાનમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું
અટલાદરામાં આવેલી અનિલ ભાભોરની દુકાનમાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. અનિલ ભાભોરની દુકાનમાં ગ્રાહકોને કુપન ન અપાઇ રહી હોવાનું સામે આવ્યું છે. આ અંગે દુકાનમાં કામ કરતા કર્ચચારીએ જણાવ્યું છે કે, 'પ્રિન્ટરનો વાયર ઉંદર કાપી નાખે છે એટલે કુપન નથી આપતાં.' આ સાથે ગ્રાહકોના રાશનકાર્ડમાં ન ઉકલાય તેવું લખાણ લખીને એન્ટ્રી પાડવામાં આવે છે.
મોટા ઘરના લોકોના 2-2 રાશનકાર્ડ બનાવી કૌભાંડ
શહેરની સસ્તા અનાજની દુકાનોમાં મોટાઘરના લોકોના 2-2 રાશનકાર્ડ બનાવી કૌભાંડીઓ કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે, મહત્વનું છે કે રેશનકાર્ડ પુરવઠા વિભાગના ઝોનલ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવે છે. ઝોનલ અધિકારીઓની સંડોવણી વિના એક વ્યક્તિના 2 રાશનકાર્ડ ન બની શકે.
ગતરોજ થયો હતો મોટો ઘટસ્ફોટ
ગઈકાલે પણ સસ્તા અનાજ કૌભાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. તરસાલીની જય હરસિદ્ધિ નામની સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થઇ રહી હોવાનું સામે આવ્યું હતું. રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદી VTVને હાથ લાગી છે જે બાબતે મહત્વના ખુલાસા થયા હતા. રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદીમાં દુકાનદાર રાજુ ખટીકે 1થી 5 વર્ષના 22 બાળકોને અનાજ આપ્યાનો ઘટસ્ફોટ થયો હતો. 85 જેટલા કાર્ડધારકોના સરનામા જ નથી. મૃત વ્યક્તિઓના નામે પણ બારોબાર અનાજ સગેવગે કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. બોગસ આધારકાર્ડ નંબરના આધારે બારોબાર અનાજ સગેવગે કરાયાનો પણ ખુલાસો થયો હતો.
પુરવઠા વિભાગના અધિકારીને અપાયો હતો આદેશ
તમને જણાવી દઈએ કે, સસ્તા અનાજની દુકાન દ્વારા આચરાતા કૌભાંડ મામલે વડોદરા પુરવઠા વિભાગના અધિકારીને તપાસ કરવા આદેશ અપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી કોમલ પટેલે ચેતન ખમારને તપાસ સોંપી હતી. સરકારના તપાસના આદેશને વડોદરા પુરવઠા વિભાગના અધિકારી ઘોળીને પી ગયા હોય તેવું આ કૌભાંડ મામલે જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થવા પર તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરાની સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ થયું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું. થમ્બ ડિવાઈસ અને લેપટોપનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હતો. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતો અને 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.
સળગતા સવાલ
- ગરીબોનું અનાજ ખાનારાને સજા ક્યારે મળશે?
- 1 વ્યક્તિના 2 રાશનકાર્ડ કેવી રીતે બને?
- પુરવઠા વિભાગના અધિકારીઓની મિલિભગત વિના કેવી રીતે 2 રાશનકાર્ડ બને?
- રાશન કૌભાંડમાં પુરવઠા વિભાગના અધિકારીઓનો પણ હાથ છે?
- કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે?
- જે વ્યક્તિ પાસે 2 રાશનકાર્ડ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે?