ગુજરાતમાં કડકડતી ઠંડી અંગે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી, રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, 25થી 27 જાન્યુઆરી સુધી પડી શકે છે ગાત્રો થીજવતી ઠંડી.
રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા
25થી 27 જાન્યુઆરી સુધી પડી શકે ગાત્રો થીજવતી ઠંડી
પવનની દિશા બદલાતા તાપમાનમાં થઈ રહી છે વધઘટ
ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક ટેન્શન વધારનારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધાર થઈ શકે છે. રાજ્યમાં આગામી 25થી 27 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.
ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.
આ ઝોનમાં ફૂંકાશે ઠંડા પવન
આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે બરફવર્ષા થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે બરફવર્ષા થશે. જેથી ફેબ્રુઆરીમાં બરફીલી ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.
તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસો ખૂબ વધ્યા
અમદાવાદમાં શિયાળામાં તાવ, વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં 10 હજાર 500થી વધુ તાવ શરદી અને ઉધરસના કેસ નોંધાયા છે. ખાનગી દવાખાનામાં પણ તાવ શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા લગભગ આનાથી બે ગણી નોંધાઈ છે. તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો
લોકોએ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએઃ ડો. ભાવિન સોલંકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શિયાળાની સિઝન દરમ્યાન લોકોએ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ. જો શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર મેળવી શકે છે.