સુરત હવે ક્રાઇમ માટે જાણીતું બની રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે સુરતમાં વેપારીની હત્યાને લઈને ચકચાર મચી છે. હીરાના વેપારીને તેના જ જાણભેદુએ પૈસા માટે પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં વેપારીની ઘાતકી હત્યા
પૈસા માટે જાણભેદુએ વેપારીને પતાવી દીધા
મુખ્ય આરોપી ભૂપત આહીર હજુ ફરાર
હીરાનગરી સુરતમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાસમાં આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સુરતના વરાછા કમલપાર્ક સોસાયટીમાં હીરાના વેપારી વૃદ્ધની ઘાતકી હત્યા કરાઇ છે. આ પ્રરકરમાં કુખ્યાત ભૂપત આહિરની સંડોવણી બહાર આવી છે. જેને લઈને પોલીસે ભૂપત આહીરના કુલ બે સાગરિતની ધરપકડ કરી રોકડાં પ૬ હજાર કબજે કર્યા હતા, જ્યારે આ પ્રકરણમાં ભુપત આહીરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
માથામાં લોખંડની પાઇપ મારી વૃદ્ધની હત્યા
પુણામાં મુક્તિધામ સોસાયટીમાં રહેતા અને હીરાનું કારખાનું ધરાવતાં ૬૨ વર્ષય પ્રવીણભાઇ ભીખાભાઇ નકુમની વરાછા સ્થિત કમલ પાર્ક સોસાયટીમાં તેમના હીરાના કારખાનામાંથી મંગળવારે બપોરે લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના બંને હાથ બાંધેલા હતા તથા માથાના ભાગે ઇજાના ચિહ્નો હતા, આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મૃતકના સંબંધી અને અહીં જ હીરાનું કારખાનું ધરાવતાં ગિરીશ ઉર્ફે ગૌરવ ડાહ્યા નકુમની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોકાવનારી હકિકતો બહાર આવી હતી. જેના CCTV પણ સામે આવ્યા છે.
ઘટના CCTV માં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી
પ્રથમ પકડાયેલા આરોપી ગિરીશની પૂછપરછમાં સૌરાષ્ટ્રના વતની અને હીરા લૂંટ માટે સૌથી કુખ્યાત ગણાતા ભૂપત આહીરની ભૂમિકા સામે આવી હતી. ગીરીશ ૨૦૧૬માં ભૂપત આહીર સાથે સરથાણામાં અપહરણના ગુનામાં ઝડપાયો હતો. તે વખતે તેની સાથે ભૂપતનો અન્ય એક સાગરિત આશિષ ધનજી ગાજીપરા પણ હતો. આ વૃદ્ધ કારખાનેદાર પાસે મોટો માલ મળવાની અપેક્ષાએ ગીરીશે જ ભૂપત આહીરને ટીપ આપી હતી. ગુનાના દિવસે ભૂપત આહીર અને આશિષ બાઇક ઉપર આવ્યા હતા અને ભૂપત આહીરે જ લોખંડનો પાઇપ ફટકારી હત્યા કરી નાંખી હતી અને અહીંથી રોકડાં ત્રણ લાખ તથા હીરા પણ લૂંટી લીધા હતા. જોકે ભાગતા CCTV માં કેદ થઈ ગયા હતા. જેને લઈને હવે પોલીસે તપાસ હાથ ધરી છે.