લોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવનાર કાંગ્રેસની સ્થિતિ વિકટ બની છે. કોંગ્રેસના માત્ર 52 સાસંદ સંસદ પહોંચશે તથા વિપક્ષનો પણ દરજ્જો નહીં મેળવી શકે, બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામા આપવા પર અડગ છે. જો તે નહીં માને તો પાર્ટીની કમાન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પર અન્ય એક મોટું સંકટ તોળાઇ રહ્યું છે.
બીજેપી આવનાર વર્ષ સુધીમાં રાજ્યસભામાં પૂર્ણ બહૂમતી મેળવી લેશે, જે બાદ બીજેપીને એજન્ડા લાગૂ કરવાથી રોકવી સરળ બની રહેશે નહીં. હાલ રાજ્યસભામાં એનડીએના 102 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએ પાસે 66 અને અન્ય પાર્ટીઓના 66 સભ્યો છે. એનડીએ સાથે આવનાર નવેમ્બર સુધીમાં લગભગ વધુ 18 સીટ જોડાશે. અહીં એનડીએને કેટલાક અપક્ષ સભ્યોનું પણ સમર્થન મળી શકે છે. રાજ્યસભામાં ઉપલા ગૃહના સભ્યોની પસંદગી રાજ્ય વિધાનસભાના સભ્યો કરે છે.
બેઠકોનું ગણિત
આવનાર નવેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં ખાલી થનારી રાજ્યસભાની 10માંથી મોટાભાગની સીટ ભાજપ જીતશે. તેમાંથી 9 સીટ વિપક્ષી પાર્ટીઓ પાસે છે. તેમાંથી 6 સપા પાર્ટી પાસે, બે બસપા, અને એક કોંગ્રેસ પાસે છે. ઉત્તરપ્રદેશ વિધાનસબામાં ભાજપના 309 સભ્યો છે. સપાના 48, બસપાના 19 અને કોંગ્રેસના 7 સભ્યો છે. આવનારા વર્ષ સુધી ભાજપને આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં સીટ મળી શકે છે. ભાજપ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બેઠક ગૂમાવશે.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની એનડીએ પર અસર પડશે. આસામની બે સીટોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જ્યારે ત્રણ અન્ય સીટ રાજ્યમાં આવનાર વર્ષ સુધીમાં ખાલી થશે. બીજેપી અને તેની સહ પાર્ટી પાસે રાજ્ય વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતી છે. ઉપલા ગૃહની લગભગ એક તૃતિયાંશ સીટ આ વર્ષે જૂન અને આવનાર નવેમ્બરમાં ખાલી થશે. બે સીટ આવતા મહીને આસામમાં ખાલી થઇ જશે અને છ સીટ આ વર્ષે જૂલાઇમાં તમિલનાડુમાં ખાલી થઇ જશે. બાદમાં આવનાર વર્ષના એપ્રિલમાં 55 સીટ ખાલી થશે.
મનમોહન સિંહનો કાર્યકાળ પૂર્ણ થશે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આસામથી રાજ્યસભાના સાંસદ છે. તેમનો કાર્યકાળ જૂનમાં પૂર્ણ થઇ જાય છે. મનમોહન સિંહ જેવા નેતા જેમને આર્થિક નીતિ અંગે નિષ્ણાંત માનવામાં આવે છે. સંસદમાં ન રહેવું કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે. આસામ વિધાનસભામાં કોંગ્રેસના વિધાયકોની જે સંખ્યા છે એ હિસાબે મનમોહન સિંહની સીટ બચાવી શકાશે નહીં. રાજ્યસભાની ચૂંટણી 7 જૂને યોજાશે. ઉપરાંત આસામથી જ વધુ એક કોંગ્રેસના રાજ્યસબા સાંસદ એસ કુજૂર પણ 14 જૂને રિટાયર થઇ રહ્યા છે. જેમની સીટ પણ બીજેપીના ખાતામાં જવી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
શું JDS કરશે કોંગ્રેસને મદદ
આવતા વર્ષે 22 રાજ્યોની 72 સીટ પર જ્યારે રાજ્યસભાની ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસ પાસે એક તક હશે તે મનમોહન સિંહને રાજ્યસભા મોકલી શકે પરંતુ એ માટે તેને ઓછામાં ઓછી જેડીએસની મદદની જરૂર પડશે. પરંતુ તેમાં કોંગ્રેસ અને જેડીએસે મનમોહન સિંહ અથવા એચ.ડી.દેવગૌડામાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે.