પાકિસ્તાનમાં હિંદુ અને અન્ય ધર્મના સ્થળોને નુકસાન પહોંચાડવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. સિંધ પ્રાંતમાં એક મંદિર પર કેટલાક લોકોએ હુમલો કરી તોડફોડ કરી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં હિંદુ સ્થળોને નુકસાન પહોંચાડવાનો સિલસિલો યથાવત્
સિંધ પ્રાતમાં એક મંદિર પર કેટલાક લોકોએ હુમલો કરી તોડફોડ કરી
ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી
દક્ષિણ એશિયા ક્ષેત્રના મામલા પત્રકાર એવા નાયલા ઇનાયતે ટવિટર કરી લખ્યું છે કે સિંધ પ્રાંતમાં એક વધુ હિંદુ મંદિરને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી છે. એક ભીડ દ્વારા ચચોરો, તારપારકરમાં માતા રાની ભટિયાનીના મંદિર પર હુમલો કરવામાં આવ્યો.
અહીં આવેલા મંદિરની મૂર્તિ તેમજ પવિત્ર ગ્રંથોને ખંડિત કરી દેવામાં આવ્યાં છે. પત્રકારે પોતાના ટવિટર માધ્યમથી અહીંના ચાર ફોટો પણ શેર કર્યા છે. જેમાં કટ્ટરપંથીઓ મૂર્તિ પર કાળા રંગ લગાવેલા જોવા મળી રહ્યાં છે. આ સાથે જ મંદિરને તોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની હિંદૂજ યૂથ ફોરમ નામના સંગઠને ફેસબુકના માધ્યમથી અપીલ કરી છે કે આ મંદિરને નુકસાન પહોંચાડનારા લોકોને કડક સજા આપવામાં આવે. સંગઠનનો દાવો છે કે આ ક્ષેત્રમાં હાલના દિવસોની આ ચોથી ઘટના છે. આ અગાઉ કુંબ ગુરુદ્વારા, એસએસડી ધામ અને ઘોટકીમાં અલ્પસંખ્યક સમુદાયના ધાર્મિક સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અંદાજે 90 લાખ હિંદુ અલ્પસંખ્યક રહે છે. જેમાંથી વધારે લોકો સિંધમાં રહે છે.
આ મહીનાની શરૂઆતમાં પાકિસ્તાનના સેંકડો કટ્ટરપંથી મુસ્લિમોએ સિખોના પવિત્ર ધર્મસ્થળ નનકાના સાહેબ ગુરૂદ્વારાને ઘેરીને પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીએ શીખોને ભગાવાની અને નનકાના સાહેબનું નામ બદલવાની ધમકી આપી હતી.