રાજસ્થાનની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. રાજસ્થાનના બિકાનેરમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપનો આંચકો
રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ
મંગળવારે પણ અનુભવાયા હતા આંચકા
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે ફરી ભૂકંપના આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ છે. ભૂકંપનો આંચકો સવારે 2.16 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર બિકાનેરથી 516 કિમી દૂર પશ્ચિમમાં હતું. જોકે, હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર આવ્યા નથી.
મંગળવારે પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
ગત મંગળવારે જ ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. મંગળવારે રાત્રે આવેલા આ ભૂકંપની અસર દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. આ આંચકા બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.
શું તમને ખબર છે ભૂકંપ કેમ આવે છે?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આ વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.