સુકમામાં રહસ્યમય રોગે હાહાકાર મચાવ્યો, 800ની વસ્તીવાળા ગામમાં 50થી વધુ લોકોના મોતથી ખળભળાટ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં રહસ્યમય રોગનો કહેર
800ની વસ્તીવાળા ગામમાં 50થી વધુ લોકોના મોત
તપાસમાં પાણીમાં આયર્ન-ફ્લોરાઈડનું પ્રમાણ વધુ જોવા મળ્યું
ગામલોકોને હેન્ડપંપના પાણીનો ઉપયોગ ન કરવાની અપીલ
દેશમાં કોરોના વાયરસ અને મંકીપોકસ વાયરસના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક રહસ્યમય રોગનો કહેર સામે આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન 50થી વધુ લોકોના મૃત્યુ થતા હડકંપ મચી ગયો છે. અ ઘટના સુકમા જિલ્લાના દૂરના રેગડગટ્ટા ગામનો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રેગડગટ્ટા ગામમાં 6 મહિના દરમ્યાન રહસ્યમય રોગને કારણે 61 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, વહીવટીતંત્રનું કહેવું છે કે, અહીં બે વર્ષમાં 50 થી 52 લોકોના મોત થયા છે. જોકે જે લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમના પરિવારો જાણી શક્યા નથી કે આ લોકો કેવી રીતે મૃત્યુ પામ્યા.
છત્તીસગઢના સુકમા જિલ્લા રેગડગટ્ટા ગામમાં 50થી વધુ લોકોના મોત થયા છે. આ ગામમાં લગભગ 800 લોકોની વસ્તી છે. રહસ્યમય રોગના કારણે લગભગ 6 મહિનામાં આટલા લોકોના મોત થતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિવારજનોને ખબર ન હતી કે તેમનું મોત કેવી રીતે થયું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ રહસ્યમય રોગમાં તેઓ પગ અને શરીરના ભાગોમાં સોજા અને હૃદયના ધબકારા વધવાની ફરિયાદ કરે છે. જોકે લોકો કઇ રીતે મૃત્યુ પામ્યા તેનું કારણ જાણી શકાયું નથી.
મૃત્યુના આંકડાને લઈ આરોગ્ય તંત્રમાં ખળભળાટ
આરોગ્ય અધિકારીઓ રોગ શોધવા માટે સતત કવાયતમાં લાગ્યા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીમાર લોકોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગામની માટી અને પાણીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. રેગડાગટ્ટા સુકમા જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 100 કિમી દૂર છે અને ઓડિશા અને તેલંગાણા સરહદની નજીક છે. આ અંતરિયાળ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન આરોગ્ય શિબિરો ગોઠવવી એ પણ એક મોટો પડકાર છે. આ જ કારણ છે કે, જ્યાં સુધી સ્થાનિક મીડિયાના લોકોને તેમના નંબર વિશે સમાચાર ન મળ્યા. આ સાથે મહિનાઓ સુધી દર્દીઓના મૃત્યુનું ધ્યાન નહોતું રહ્યું.
કલેકટરે શું કહ્યું ?
સમગ્ર મામલે સુકમા કલેક્ટર હેરિસ એસએ મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ રોગને કારણે લોકોના હાથ-પગમાં સોજો, ઉલ્ટી અને બેચેનીની ફરિયાદો મળી છે. પાણી અને માટીના નમૂનાઓના પ્રારંભિક અહેવાલમાં બે હેન્ડ-પંપમાંથી એકના પાણીમાં આયર્નનું પ્રમાણ વધુ તેમજ ફ્લોરાઈડનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. રેગડગટ્ટાના લોકોને આ હેન્ડપંપના પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. હેરિસે કહ્યું કે, લગભગ 41 લોકોને સુકમા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમાંથી 14ને કિડનીની બિમારી હોવાનું નિદાન થયું છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય અધિકારીઓ નિયમિત ફોલો-અપ કરી રહ્યા છે, તેમણે ઉમેર્યું હતું કે, રક્તના નમૂના લેવા માટે એક તબીબી ટીમ પહેલેથી જ ગામમાં પહોંચી ગઈ છે. જેને નાગપુરની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.
શું કહ્યું આરોગ્ય વિભાગે ?
સમગ્ર મામલે આરોગ્ય વિભાગના પ્રવક્તા ડૉ. સુભાષ મિશ્રાએ કહ્યું કે, તેમને શંકા છે કે, આ રોગ ફ્લોરાઈડ અને આયર્નનું પ્રમાણ વધુ હોય તેવા પાણીના વપરાશથી થયો છે. અમે રોગના ચોક્કસ કારણને ઓળખવા માટે પરીક્ષણો કરી રહ્યા છીએ. આરોગ્ય કર્મચારીઓ માટે ગામડા સુધી પહોંચવું કોઈ મોટી સમસ્યાથી ઓછું નથી. આ ગામનો સૌથી નજીકનો બ્લોક કોન્ટા છે જે લગભગ 25 કિમી દૂર માઓવાદી હોટસ્પોટ છે.