ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. જામનગર બાદ સુરતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ ચૂકી છે. ગુજરાતમાં કુલ 4 ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે.
જામનગર બાદ સુરતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી
ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો યુવક ઓમિક્રોનથી સંક્રમિત
ગુજરાતમાં કુલ 4 લોકો ઓમિક્રોનથી સંક્રમિત
જામનગરમાં 3 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાઇ ચૂક્યા હતા. ત્યારબાદ હવે સુરતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે. વરાછા ઝોનમાં કોરોનાગ્રસ્ત દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 4 ઓમિક્રોનના કેસ નોંધાયા, જ્યારે દેશમાં કુલ 41 લોકો નવા વેરિયન્ટ સંક્રમિત થયા.
સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો 42 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓમિક્રોન માટે સેમ્પલ લીધા હતા. જીનોમ સિકવન્સ માટે લેવાયેલા સેમ્પલનું પરિક્ષણ થયું હતું. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે થોડા દિવસ અગાઉ યુવાન UKથી આવ્યો હતો. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અગાઉ જામનગરમાં 3 ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા
પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. જામનગરમાં 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3 કેસો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. શહેરની બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે.
આજના કોરોનાના કેસ(13-12-2021)
આજે રાજ્યભરમાં કોરોનાના વધુ 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 549 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેને લઇને રાજ્યભરમાં સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 10099ના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે. રાજ્યભરમાં આજે 2.56 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.55 કરોડથી વધુ ડોઝ અપાયા ચૂક્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. જ્યારે વડોદરામાં 13 કેસ, ભાવનગરમાં 5 કેસ, કચ્છમાં 5, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 5 કેસ, પાટણમાં 2 કેસ, સુરત જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા, ગાંધીનગરમાં વધુ 2 કેસ અને ગીર સોમનાથમાં એક કેસ નોંધાયા છે.