ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો થયો છે. CBIએ ચોક્સી અને ગીતાંજલિ રત્ન નક્ષત્ર બ્રાન્ડ વિરુદ્ધ બે નવી FIR નોંધી છે.
PNB કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીને વધુ એક ઝટકો
CBIએ ચોક્સી અને ગીતાંજલિ રત્ન નક્ષત્ર બ્રાન્ડ વિરુદ્ધ નોંધી બે નવી FIR
કોર્ટના આદેશ પર નોંધવામાં આવ્યા છે કેસ
PNBમાં 6000 કરોડની છેતરપિંડીનો આરોપી ભાગેડુ મેહુલ ચોકસીને CBIએ શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. CBIએ ચોક્સી અને ગીતાંજલિ રત્ન નક્ષત્ર બ્રાન્ડ વિરુદ્ધ બે નવી FIR નોંધી છે. CBIએ બેંકોના એક જૂથ સાથે કથિત રીતે 55.27 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં આ બે નવી FIR નોંધી છે. કોર્ટના આદેશ પર તેની સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2018માં બહાર આવ્યું હતું PNB કૌભાંડ
જાન્યુઆરી 2018ની શરૂઆતમાં પંજાબ નેશનલ બેંકમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે CBIએ 30 જાન્યુઆરીએ FIR નોંધી હતી. પરંતુ તે પહેલા જ કૌભાંડના બે મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને ભાગી ગયા હતા. ત્યારથી બંને આરોપીઓના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. નીરવ મોદી બ્રિટનમાં છે અને ત્યાંના ગૃહ મંત્રાલયે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. જો કે, નીરવ મોદીએ તેની સામે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
CBIએ માર્ચમાં પણ નોંધ્યો હતો કેસ
CBIએ ભાગેડુ મેહુલ ચોક્સીની સામે માર્ચ મહિનામાં પણ એક કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં મેહુલ ચોક્સીએ IFCIને હીરા અને જ્વેલરીની કિંમત વધારે જણાવીને તેને ગીરવે રાખીને 25 કરોડ રૂપિયાની લોન લીધી હતી. CBIએ આ મામલે મેહુલ ચોક્સી, તેની કંપની ગીતાંજલિ જેમ્સ અને સૂરજમલ લલ્લુભાઈ એન્ડ કંપની, નરેન્દ્ર ઝવેરી, પ્રદીપ સી શાહ અને શ્રેણિક શાહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
IFCIની ફરિયાદ પર CBIની કાર્યવાહી
ખરેખર, IFCIની ફરિયાદ પર CBI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, ચાર અલગ-અલગ મૂલ્યાંકનકારોએ જ્વેલરીની કિંમત રૂ. 34-45 કરોડ જણાવી હતી. આ પછી IFCIએ ચોક્સીને લોન આપી હતી. જ્યારે કંપનીએ લોન ન ચૂકવી ત્યારે IFCIએ ગીરવે મૂકેલા શેર અને જ્વેલરીમાંથી વસૂલ કરવાનું શરૂ કર્યું. IFCIએ 20,60,054 ગિરવે મૂકેલા શેરમાંથી 6,48,822 શેર વેચીને રૂ. 4,07 કરોડની વસૂલી કરી. જોકે, NSDLએ મેહુલ ચોક્સીના ક્લાયન્ટ આઈડીને બ્લોક કરી દીધી હોવાથી IFCI બાકીના શેર વેચી શકી ન હતી.
ગીરવે મૂકેલા ઘરેણાની કિંમત મૂલ્યાંકિત મૂલ્ય કરતાં 98% ઓછી
આ પછી જ્યારે IFCIએ ગીરવે મુકેલ સોના, હીરા અને જ્વેલરીમાંથી લોનની ભરપાઈનો પ્રયાસ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે તેની કિંમત મૂલ્યાંકિત મૂલ્ય કરતાં લગભગ 98% ઓછી હતી. તાજેતરના મૂલ્યાંકનમાં એવું જાણવા મળ્યું હતું કે ગીરવે મુકેલા ઘરેણાં અને હીરાની કિંમત રૂ. 70 લાખથી રૂ. 2 કરોડની વચ્ચે છે.
મૂલ્યાંકન કરનાર આરોપીઓના ઠેકાણાઓ પર દરોડા
તાજેતરના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું હતું કે હીરા હલકી ગુણવત્તાના હતા અને લેબમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને ગીરવે રાખવામાં આવેલા રત્નો પણ અસલી નહોતા. 30 જૂન, 2018ના રોજ IFCIએ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી હતી. આ કેસમાં સીબીઆઈએ મૂલ્યાંકન કરનાર આરોપીઓના કોલકાતા, મુંબઈ સહિત 8 સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.