ડીએ વધારા બાદ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ આપીને ઘરના ઘરનું સપનું સાકાર થઈ શકે તેવી એક જાહેરાત કરી છે.
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની વધુ એક ભેટ
ઘર ખરીદવા માટે મળતા એડવાન્સના વ્યાજ દરમાં કર્યો 0.8 ટકાનો ઘટાડો
કર્મચારીઓને 7.1 ટકાના વ્યાજ દરે મળશે એડવાન્સ
ડીએ વધારા બાદ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ આપી છે. પોતાનું ઘરનું ઘર બનાવવા માગતા સરકારી કર્મચારીઓ માટે સરકારે એક જાહેરાત કરી છે. મોદી સરકારે ઘર બનાવવા માટે, ઘર અથવા ફ્લેટ ખરીદવા અથવા બેન્કોની હોમ લોન ચુકવવા માટે મળતા એડવાન્સના વ્યાજ દરમાં 80 બેસિક પોઈન્ટ એટલે કે 0.8 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધી લાગુ પાડવામાં આવી છે.
7.1 ટકા વ્યાજ દરે મળશે એડવાન્સ
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં એડવાન્સના વ્યાજદરમાં ઘટાડાની જાણકારી આપવામાં આવી છે. તેના અનુસાર 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે 7.1 ટકા વાર્ષિક વ્યાજ દર પર એડવાન્સ લઈ શકે છે. આ પહેલા આ દર વાર્ષિક 7.9 ટકા હતો.
25 લાખ રૂપિયા સુધી લઈ શકાય છે એડવાન્સ
સાતમા પગારપંચ અને હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (એચબીએ) રૂલ્સ 2017ની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને મકાન બનાવવા કે ખરીદવા માટે જે એડવાન્સ આપવામાં આવે છે તે સાદા વ્યાજદરે આપવામાં આવે છે. જ્યારે બેન્કો ચક્રવૃદ્ધિ વ્યાજે હોમ લોન આપે છે. આ નિયમ અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓ પોતાના બેઝિક સેલરી મુજબ 34 મહિના સુધી અથવા વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધી એડવાન્સ લઈ શકે છે. આ સિવાય ઘરની કિંમત કે ચૂકવવાની ક્ષમતાથી જે પણ ઓછું હોય તે રકમ એડવાન્સ જેટલી જ રકમ લઈ શકો છો.
બેન્કોની હોમ લોન પણ એડવાન્સથી ચૂકવી શકાય છે
બેંકની હોમ લોન પણ કેન્દ્રીય કર્મચારી મકાનના નિર્માણ માટે કે ફ્લેટ કે મકાન ખરીદવા માટે એડવાન્સ લઇને ચૂકવી શકે
છે. આ એડવાન્સ કાયમી અને અસ્થાયી બંને કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ કામચલાઉ કર્મચારીઓની નોકરી સતત પાંચ વર્ષની હોવી જોઈએ. કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેંકો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય તે દિવસથી એડવાન્સ મળશે. બેંકની ચુકવણી માટે એડવાન્સ ઇશ્યૂ કર્યાના એક મહિનાની અંદર એચબીએ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરવાનું રહેશે.