વંદે ભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેક પર ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ભૂતકાળમાં અમદાવાદ અને આણંદ નજીક પણ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
વલસાડના અતુલમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત
ટ્રેક ઉપર ગાય આવી જતા ટ્રેનને નડ્યો અકસ્માત
થોડો સમય ટ્રેન થોભાવીને બાદમાં આગળ વધારવામાં આવી
વંદે ભારત ટ્રેનની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેન સાથે ગાય અથડાતા આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના કારણે ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં નુકસાન થયું હતું. અકસ્માત બાદ થોડો સમય ટ્રેન થોભાવીને બાદમાં આગળ વધારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતને લઈને પણ પશુ માલિકની સામે ગુનો નોંધાઈ શકે છે.
અગાઉ બે વખત બની ચૂકી છે અકસ્માતનો ભોગ
આપને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય, આ પહેલા અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.
6 ઓક્ટોબરના રોજ વટવા નજીક નડ્યો હતો અકસ્માત
30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી પોતે આ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. જે બાદ 6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત ટ્રેનને મણિનગરથી વટવા જતાં રેલ્વે ટ્રેક પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ નોંધ્યો હતો ગુનો
ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક ભેસોનું ટોળુ આવી જતા અકસ્માત થયો હતો. જેમાં ભેંસોના મોત નીપજ્યા હતા. આ મામલે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.
7 ઓક્ટોબરે આણંદ નજીક સર્જાયો હતો અકસ્માત
જે બાદ તેના બીજા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું હતું.