તાજેતરમાં ઇન્કમટેક્સ વિભાગે બસપાનાં સુપ્રીમો માયાવતીના ભાઇ આનંદકુમારની રૂ.૪૦૦ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરીને સીલ કરી દેતાં માયાવતી વિફર્યાં હતાં. દલિત નેતા તરીકે ઓળખાતાં માયાવતી દેશનાં સૌથી ધનાઢ્ય રાજકીય નેતાઓમાંના એક છે.
એવું કહેવાય છે કે માયાવતીની પોતાની મિલકતો પણ રૂ.૧૧૧ કરોડથી પણ વધારે છે. તાજેતરમાં જ ફરીથી બસપાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવેલ માયાવતીના ભાઇ આનંદકુમાર જે રીતે થોડા સમયમાં લખલૂંટ સંપત્તિના માલિક થઇ ગયા હતા તે જોતાં એવા પહેલાંથી જ અણસાર હતા કે એક ને એક દિવસ ઇન્કમટેક્સ વિભાગ અથવા એન્ફોર્સમેન્ટ િડરેક્ટોરેટ (ઇડી)ની તપાસ અને કાર્યવાહીની ચપેટમાં ચોક્કસ આવશે તથા આખરે થયું પણ આવું જ.
ઇન્કમટેક્સ વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આનંદકુમારની બેનામી સંપત્તિની પાછળ જ છે અને સઘન તપાસ કરી રહી છે. માયાવતીના ભાઇ આનંદકુમારની કારકિર્દી પર જો નજર નાખવામાં આવે તો ખરેખર આંખો પહોળી થઇ જાય તેવી હકીકતો છે.
આનંદકુમારે પોતાની કારકિર્દી એક સામાન્ય કારકુન તરીકે શરૂ કરી હતી અને કારકુનથી કરોડપતિ સુધીની સફર દરમિયાન આનંદકુમારે રૂ.૧૩૧૬ કરોડ સુધીની સંપત્તિ એકત્ર કરી લીધી છે. તેમની સંપત્તિમાં આટલો જબરદસ્ત વધારો માત્ર પાંચ વર્ષના ટૂંકાગાળામાં જ નોંધાયો છે. ર૦૦૭માં આનંદકુમારની નેટવર્થ માત્ર રૂ.૭.પ કરોડ હતી, જે વધીને ર૦૧રમાં રૂ.૧૩૦૦ કરોડને પાર થઇ ગઇ હતી.
ખરેખર સંપત્તિમાં આટલો જંગી વધારો કઇ રીતે થયો? ઇન્કમટેક્સ વિભાગ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલા માટે તેમની પાછળ પડી ગયાં છે. તેમના માટે પણ તપાસનો વિષય છે કે આનંદકુમારે આટલા ટૂંકાગાળામાં આટલી જંગી સંપત્તિ કઇ રીતે બનાવી? એવું કહેવાય છે કે આનંદકુમારે અસંખ્ય બોગસ કંપનીઓ ઊભી કરીને કરોડોની બેનામી સંપત્તિ બનાવી છે. તેમણે નોટબંધી દરમિયાન પણ બોગસ કંપનીઓની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી તેવો પણ તેમના પર આરોપ છે.
હવે આ તપાસ કયા પરિણામ પર પહોંચશે તેની ખબર નથી, પરંતુ એક વાતમાં બેમત નથી કે આપણા દેશમાં આવા ઢગલો આનંદકુમાર છે કે જેમની પાસે લખલૂંટ સંપત્તિ છે. માયાવતીએ પણ એવો વળતો હુમલો કર્યો છે કે ભાજપે પણ પોતાની અંદર ઝાંખવાની જરૂર છે કે તેમની અને તેમના નેતાઓ પાસે કેટલી અઢળક સંપત્તિ છે.
માયાવતીએ જણાવ્યું છે કે બેનામી સંપત્તિથી જ ભાજપ લોકસભાની ચૂંટણી જીત્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એન્ડ કંપનીની જે સરકાર છે તેમનેે હું પૂછવા માગું છું કે તેમના સત્તારૂઢ થયા બાદ અબજો-ખર્વોની સંપત્તિ તેમના પક્ષના કાર્યાલય સુધી કેવી રીતેપહોંચી? તેનો પણ ખુલાસો તેઓએ કરવો જોઇએ.
આમ, આપણા દેશમાં કોઇએ રાજકીય વગના આધારે સંપત્તિ બનાવી છે તો કોઇએ પોતાનાં સગાં-સંબંધીની રાજકીય વગનો ઉપયોગ કરીને મિલકતો વસાવી છે. કરોડો-અબજો રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરનારા નેતાઓ અને નોકરશાહોની મોટી સંખ્યા એ જ બતાવે છે કે આ લોકો તક મળે બે હાથે સંપત્તિ ઝૂંટવે છે.
મોદી સરકારે બેનામી સંપત્તિ સામે જે કડક કાયદો પસાર કર્યો છે તે હેઠળ બેનામી સંપત્તિઓના માલિકો સામે કાર્યવાહીનો સિલિસલો માત્ર ચાલુ જ ન રહેવો જોઇએ, પરંતુ તેમાં વધુ ઝડપ અને સખતાઇ લાવવાની જરૂર છે. મોદી સરકારે એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઇએ કે બેનામી સંપત્તિ રાખનારા અને એકત્રિત કરનારા લોકો ભયભીત બની જાય.