કનુ દેસાઈએ ગૃહમાં કહ્યું 10 દિવસ માટે રાજ્યમાં વીજળીની અછત હતી, ઉદ્યોગોમાં વીજકાપનો ફાયદો ખેડૂતોને મળશે
અપુરતી વીજળીને લઇને પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર
ગૃહમાં ઉર્જામંત્રી કનુ દેસાઇની મહત્વની જાહેરાત
500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે મળતી વીજળીમાં કાપ મુકાયો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તેવામાં ખેડૂતોને પુરતી વીજળી મળે તેવી તીવ્ર માગ ઉઠી હતી અને મોટા પાયે જિલ્લે ખેડૂતોએ વીજકાપને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી અને રસ્તા પર ઉતરી ગયા હતા. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ મુદ્દો જોરશોર ઉછાળવામાં આવ્યો હતો ત્યારે અપુરતી વીજળીને લઇને પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર સરકારે આપી દીધા છે. હવે ઉદ્યોગમાં વીજકાપ કરી તે વીજળી ખેડૂતોને આપવામાં આવશે.
500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે-કનુ દેસાઇ
અપુરતી વીજળીને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી જે બાદ 8 કલાક પૂરતી વીજળી માટે અનેક સ્થળે ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ સરકારે પણ 6 કલાક નિયમિત મળશે તેવી જાહેરાત પણ કરી હતી પણ ખેડૂતો 8 કલાકની પોતાની માંગ પર અડગ હતા. આખરે ગૃહમાં ઉર્જામંત્રી કનુ દેસાઇએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે, વીજકાપ માટે નોટિસ આપી દેવામાં આવી છે. 10 દિવસ માટે રાજ્યમાં વીજળીની અછત હતી તેવો ઉલ્લેખ કરતાં વધુમાં કહ્યું કે આજે તમામ 8 ઝોનમાં વીજળી આપવામાં આવી છે. ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.
દિયોદર SDM એ 8 કલાક વીજળી માટે લેખિત બાંહેધરી આપી
તો બીજી તરફ બનાસકાંઠાના દિયોદરના 7 દિવસથી ખેડૂતો 8 કલાક વીજળી માટે ધરણા પર બેઠા હતા.ત્યારે મક્કમ અને અડગ ખેડૂતોની હવે જીત થઈ છે. દિયોદર SDM એ 8 કલાક વીજળી માટે ખેડૂતોને લેખિત બાંહેધરી આપી દેતા ખેડૂતોના ધરણાનો અંત આવી ગયો છે.