આજે ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક
પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 18 થી 59 વર્ષ નાગરિકોને જેમને બીજો ડોઝ લઈ લીધો છે તેઓ માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ 15 જુલાઇથી આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસ સુધી ચાલશે. કુલ 3.50 કરોડની વધુ લાભાર્થી લોકોને આ કોરોના રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પાછળ સરકારને 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઇ કરવામા આવી છે.
ખેડૂતોની નુકસાનીનો સર્વે થશે
રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે.
નગરપાલિકાઓને સહાય
કેબિનેટ બેઠક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું- ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીની સાફ-સફાઈ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. 156 નગરપાલિકામાં સફાઈ, પાણીના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી હોવાની માહીતી પણ આપી હતી.રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે.
ખાણ અને ખનિજ વિભાગ સિદ્ધિ
ખાણ અને ખનિજ વિભાગની નવી દિલ્હીમાં યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય કોન્ક્લેવમાં“રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર”અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતને કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમ અપાયો છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ. ૩ કરોડનો પુરસ્કાર રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર હેઠળ દરેક કેટેગરીમાં ત્રણ પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં પુરસ્કારની રકમ પેટે પ્રથમ ક્રમે રૂ. ૩ કરોડ, બીજા ક્રમે રૂ. ૨ કરોડ અને ત્રીજા ક્રમે રૂ. ૧ કરોડની રકમ તથા પારિતોષિક આપવામાં આવે છે
મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં કુદરતી સંપંત્તિ-ખનિજોની ફાળવણી યોગ્ય, પારદર્શક, ભેદભાવરહિત અને સ્પર્ધાત્મક રીતે થાય તથા મહેસૂલી આવક વધે તે હેતુસર દેશમાં ખનિજોની ફાળવણી માટે ઇ-હરાજી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ખાણકામના કાયદા “ધ માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭” તથા તેના અંતર્ગત નિયમોમાં સુધારો કરાયો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં કેન્દ્રની અનુરૂપ ઇ-હરાજી પદ્ધતિ અપનાવી વર્ષ ૨૦૧૭થી ગૌણ ખનિજો માટે પણ ઇ-હરાજી પદ્ધતિ અમલમાં મૂકી છે.વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ દરમિયાન ગૌણ ખનીજોના કુલ ૧૫૩૩ બ્લોક જાહેર હરાજીથી ફાળવવા માટે મૂકવામાં આવ્યાં હતાં. તે પૈકી ૯૭૫ બ્લોકમાં સફળતાપૂર્વક જાહેર હરાજી પૂર્ણ થઈ છે. આ હરાજીથી રાજ્ય સરકારને રોયલ્ટી તથા પ્રિમિયમ પેટે અંદાજે રૂ. ૨,૧૦૪ કરોડની જંગી આવક થશે.
ગુજરાતમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાની મંજૂરી
તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને કેન્દ્રીય કેબિનેટે આપેલી મંજૂરી માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી આજે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સૂચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે પરિયોજનાથી મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને સીધો ફાયદો થશે. નવી રેલ પરિયોજના તૈયાર થતાં આ સ્થળોની માત્ર કનેક્ટિવિટી જ નહિ, પરંતુ અમદાવાદ આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે. તેમજ આ પરિયોજના સાકાર થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા-પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.પવિત્ર જૈન તીર્થંકર અજીતનાથજીનામંદિરની મુલાકાતે વર્ષે લાખો શ્રાવકો આવે છે. તેમજ ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવા બદલ રાજ્ય સરકાર વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેશની સૌથી મોટી ક્વિઝ ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’માં હાલમાં કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો ગત તા.૭ જુલાઈ,૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્વિઝ’માં હાલ કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે. જેમાં શાળાકક્ષાએ ૧૪.૨૩ લાખથી વધુ, કોલેજકક્ષાએ ૧.૧૩ લાખથી વધુ જ્યારે અન્ય ૧.૦૪ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે જે ગૌરવની બાબત છે.ધોરણ ૯ ધી ૧૨ શાળાકક્ષાના તેમજ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વધુમાં વધુ નાગરિકોને ક્વિઝમાં ભાગ લેવા મંત્રીએઅનુરોધ કરતાં કહ્યું હતું કે, આ ક્વિઝમાં દરરોજ ૨૦૦ ક્વિઝની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થાય છે.
આ સ્પર્ધામાં શાળાકક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૭,000, કોલેજ-યુનિવર્સિટી કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૨૦,000/-તૃતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે. લાઈવ ક્વિઝમાં શાળા અને કોલેજ-યુનિવર્સિટીના ૨,૨૦૦થી વધુ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા અને વોર્ડ કક્ષાના કુલ ૯ રાઉન્ડમાંથી તા.૧૦જુલાઈ, ૨૦૨૨ના રોજ પહેલો રાઉન્ડશરુ કરાયો હતો તેમ તેમણે જણાવ્યું હતું.
'કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી' ખાતે ૬૦ ડ્રોન ઇન્સ્ટ્રકટર તૈયાર કરાયા :
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલુ ક્ષેત્ર છે તેમ જણાવતા કહ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં ડ્રોન ટેકનોલોજી મહત્વની સાબિત થશે. ત્યારે ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે. જેથી આવનારા સમયમાં તાલીમબધ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે. નજીકના ભવિષ્યમાં આવનારી આ ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારનું નક્કર આયોજન છે. વર્તમાન પરસ્થિતિમાં રૂ.૫૦ હજાર થી રૂ.૭૦ હજાર જેટલી ફી લઈ ડ્રોન તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકાર નજીવી ફી થી આ તાલીમ આપશે.
મંત્રીએ વધુમાં જણાવતાં કહ્યું કે, ડ્રોન પાયલટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી હોઇ ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન વિભાગ દ્વારા કડક મંજૂરી પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. રોજગાર અને શ્રમ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની આગેવાનીમાં રાજ્યની "કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી" દ્વારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ચકાસણી બાદ ગુજરાતની 'કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી'ને ડ્રોન પાયલટ તાલીમ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં રાજ્યશાસીત આ પ્રથમ યુનિવર્સિટી છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. કલોલ તાલુકાના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે આ તાલીમ અપાશે. ત્યાર બાદ રાજ્યની ૫૦ આઇ.ટી.આઇ ખાતે તાલીમ વ્યવસ્થા શરૂ કરાશે.