જામનગરઃ ઓછા વરસાદના કારણે ખેડૂતો અછતગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્યા છે. મોરબીના ટંકારાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે 44 ગામના સરપંચો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ઢોલ નગારા સાથે રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. રેલી યોજીને સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 15 દિવસમાં તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તો બીજી તરફ જામનગરના લાલપુરમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરાયા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જામનગરમાં ઓછા વરસાદના કારણે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. મોટા બેનરો સાથે રેલી કરીને ખેડૂતો તંત્રને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખેડૂતોએ વિશાળ રેલી કાઢીને તંત્રને આવેદનપત્ર આપ્યુ હતું.
આ ઉપરાંત રાજકોટમાં પણ ખેડૂતો સાથે ભાજપના આગેવાનોએ મળીને વિરોધ નોંધાવ્યો છે. તાલુકાના ગામોને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. ખેડૂતોએ રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.