સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત કરતા કહ્યું કે, હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ કરી મોટી જાહેરાત
અન્નપૂર્ણા યોજના ફરી શરૂ થશે
રૂ.10ના બદલે રૂ.5માં શ્રમિકોને મળશે ભોજન
કહેવાય છે કે ભૂખ્યાને ભોજન કરાવી તેની આંતરડી ઠારવી એ સૌથી મોટી સેવા છે. ગુજરાત સરકારે શ્રમિકોને ભોજન મળી રહે તે માટે નજીવા દરે ભજન આપતી અન્નપૂર્ણા સેવા શરૂ કરેલી છે. આમતો એક સમોસું ખાવું હોય તો બજારમાં 20 રૂપિયામાં મળે છે પણ જે માણસ દિવસના 100 રૂપિયા મજૂરી કરીને લાવતો હોય તેને આ 20 રૂપિયા આપવાના ના પોષાય ત્યારે આ અન્નપૂર્ણા યોજના હજારો નોકરિયાત મજૂર માણસોનું પેટ ભરે છે. ત્યારે હવે અન્નપૂર્ણા યોજનાને લઇને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત કરી છે.
રૂ.10ના બદલે રૂ.5માં શ્રમિકોને મળશે ભોજન!
સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વનું જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના કાળથી બંધ કરેલી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ થશે. હવે રૂ.5માં શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી છે. મહત્વનું છે કે, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું.
વધુમાં મેરજાએ કહ્યું કે, નવા રૂપરંગ સાથે યોજના ફરીથી શરૂ કરાશે. આગામી એક મહિનાની અંદર અન્નપૂર્ણા યોજના શરૂ થશે. હાલ અન્નપૂર્ણા યોજનામાં સુધારા વધારાની કામગીરી ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં આજે ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમમાં બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને SPB હોલ ખાતે રોજગાર અને તાલીમ નિયામક અને ગુજરાત કૌશલ્ય વિકાસ મિશનના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ' યોજાશે.
કોરોનાકાળમાં બંધ રહેલી અન્નપૂર્ણા યોજના ફરી થશે શરૂ
થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મીરજાએ આ અંગે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, અગાઉ સરકારે આ અન્નપૂર્ણા યોજના કોરોનાકાળમાં બંધ કરી હતી.
શ્રમિકોને આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું
મહત્વનું છે કે, ગુજરાત સરકારે તા. 18 જુલાઈ, 2017ના રોજ રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતાં હતા. શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું.
સુપ્રીમ કોર્ટે પણ કર્યા હતા આ યોજનાના વખાણ
ગુજરાત સરકારની અન્નપુર્ણા યોજનાના સુપ્રીમ કોર્ટે વખાણ કર્યા હતા. અન્ય રાજ્યોને પણ આ યોજના અપનાવવા અનુરોધ કર્યો છે. પ્રવાસી શ્રમિકો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવે. શ્રમિકો માટે ઓનલાઇન -રજીસ્ટ્રેશનની ગુજરાતમાં વ્યવસ્થા કરાઈ છે. 6 લાખ શ્રમિકોની નોંધણી કરાઈ છે. 21291 કોમન સર્વિસ સેન્ટર શ્રમિકો માટે કાર્યરત છે.