હાલ રેલ મંત્રાલય દ્વારા દેશમાં 11 જેટલી ખોટ કરતી રેલવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજપીપળા-અંકલેશ્વર જે 2013માં 800 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી હતી. બ્રોડગેજ રેલને પણ બંધ કરવાના નિર્ણય પર સ્થાનિકો સહીત નેતાઓ નિરાશ થયા છે. સ્થાનિક વેપારીઓ ફરી આ ટ્રેન ચાલુ કરવાની માગ કરી રહ્યા છે.
રાજપીપળા-અંકલેશ્વર ટ્રેનને ખોટના કારણે બંધ કરાઈ
રાજપીપળાથી કેવડિયા ટ્રેન ઓછી ઝડપને લઈને કોઈ કામની નહોતીઃ સાંસદ મનસુખ વસાવા
સરકારે પ્રજાલક્ષી યોજના બનાવી હોય ત્યાં નફો નુકસાન ના જોવાયઃ કોંગ્રેસ ધારાસભ્ય
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને સુવિધા માટે કેવડિયા કોલોની ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સુવિધા સજ્જ ગ્રીન રેલવે ભવન બનાવવામાં આવ્યું છે. જ્યાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વિવિધ ઝડપી ટ્રેનો દોડાવશે. આ અંગેની જાહેરાત સરકાર કરી રહી છે. ત્યારે જિલ્લાના મથક રાજપીપળાથી અંકલેશ્વર ટ્રેન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આ લાઈન નેરોગેજમાંથી બ્રોડગેજ કરવા સરકારે 800 કરોડો ખર્ચ કર્યો હતો. પરંતુ ફાટકો ના બનાવતા આ ટ્રેન શોભાનો ગાંઠિયો બની ગયો. ત્યારે હવે ખોટનું બહાનું ધરીને ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ત્યારે રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ પણ રેલ બંધ ન થવી જોઈએની વાત કરી છે અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે આ રેલ બંધ કરવામાં આવશે તો અમે ઉગ્ર અંદોલન પણ કરીશું.
1899માં રાજપીપળાના મહારાજાએ કુંવરપુરાથી અંકલેશ્વર ટ્રેન શરૂ કરી હતી
રાજપીપળાના મહારાજા છત્રસિંહજી ગોહિલે કુંવરપુરાથી અંકલેશ્વર ટ્રેન 1899માં પ્રજાની સુવિધા માટે શરૂ કરી હતી. ત્યારબાદ વિજયસિંહ મહારાજે રાજપીપળા સુધી 1917માં કરજણ નદી પર બ્રીજ બનાવી રાજપીપળા-અંકલેશ્વર રેલવે ચાલુ કરી હતી. ત્યારે પણ આ ટ્રેન 3 કલાક લેતી હતી. સરકારે પુનઃ લોક માંગથી નેરોગેજ રેલવે લાઈનને 800 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઈન કરી નવીનીકરણ કર્યું હતું. ત્યારબાદ લોકોમાં આશા હતી કે ઝડપથી અંકલેશ્વર પહોંચી શું. પરંતુ માનવ રહિત ફટકો ના હોવાના કારણે બ્રોડગેજ રેલવે પણ 3 કલાકનો સમય લેવા લાગી હતી. રેલવે વિભાગે ઓટોમેટિક ફટકો ના બનાવ્યા. છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર-રાજપીપલા વચ્ચે ટ્રેન દોડે છે.
રાજપીપળાથી કેવડિયા લાઈન જોડાય અને ત્યાંથી સીધી અંકલેશ્વર થઇ મુંબઈ ટ્રેન જાય એવી રજૂઆત કરીશઃ મનસુખ વસાવા
જોકે આ અંગે સાંસદ મનસુખ વસાવાએ પણ જણાવ્યું હતું કે ખોટ કરતી સરકારે 11 ટ્રેનો રાજ્યની બંધ કરી છે, જેમાં એક રાજપીપળા-અંકલેશ્વરની પણ છે, જોકે ઓછી ઝડપને લઈને કોઈ કામની નહોતી, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે એટલે કે રાજપીપળાથી કેવડિયા લાઈન જોડાય અને ત્યાંથી સીધી અંકલેશ્વર થઇ મુંબઈ જાય એવી રજૂઆત હું સરકારમાં કરીશ. આ લાઈનથી રાજપીપળા-અંકલેશ્વર રેલવે લાઈન અપગ્રેટ થાય અને ફાસ્ટ ટ્રેનો દોડે એવા પ્રયત્ન કરીશ.
સરકારે પ્રજાલક્ષી યોજના બનાવી હોય ત્યાં નફો-નુકસાન ન જોવાયઃ કોંગ્રેસ ધારાસભ્ય
આ સાથે નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારે પ્રજાલક્ષી યોજના બનાવી હોય ત્યાં નફો નુકસાન ન જોવાય, કેટલાય સરકારની વાહવાહ કરતા પ્રોજેક્ટો કેમ બંધ કરતા નથી. આદિવાસી વિસ્તારની આ રેલવે લાઈનો આદિવાસીઓ સસ્તાભાવે અવર જવર કરે એટલે બનાવી હતી. પરંતુ રેલવે લાઈનો જે ચાલે છે જેમાં નવું આટલા વર્ષોમાં કાઈ જોવા મળ્યું નથી. જો કેવડિયા હાઈ સ્પીડ ટ્રેનો દોડાવવાનું સરકાર વિચારે તો કેવડિયાથી માત્ર 30 કિમીની લાઈન ના ખેંચાઈ તો સીધી દક્ષિણ પટ્ટીને રાહત થાય એવું વિચાર કરતા નથી એટલે સરકારને ખાનગીકરણમાં વધુ રસ છે. હું આ ટ્રેન ચાલુ રહે તે માટે રજુઆત કરીશ.