કચ્છનું અંજાર ગામ અને આસપાસનો વાડી વિસ્તાર પાણીવાળો હોવાનું મનાય છે. અહીંના બોરનું પાણી ગાંધીધામને પણ પૂરૂં પડાતું હતું. આજે આ જ અંજાર નગરના લોકોને પીવાલાયક ન હોય તેવું પાણી નગરપાલિકાના પાપે પીવું પડે છે.
નગરપાલિકાના પાપે અંજારના લોકોને નથી મળતું ચોખ્ખુ પાણી
પાણીજન્ય રોગચાળામાં થયો વધારો
સામાન્ય રીતે વરસાદી ઋતુમાં પાણીમાં ક્લોરીનેશન કરાય છે પરંતુ અંજારમાં વિતરીત થતાં પાણીમાં ક્લોરીનનું પ્રમાણ નહીંવત હોવાથી રોગ થાય તેવા કિટાણુંઓ અને વિષાણુંઓ પાણી વાટે લોકોના શરીરમાં જઇ રહ્યા છે. તેના કારણે પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. આખા કચ્છમાં એક માત્ર અંજાર જ એવું નગર છે કે જે નર્મદાના પાણી પર અવલંબીત નથી. 25 જેટલા બોરનું 14 એમ.એલ.ડી. પાણી નગરવાસીઓને પૂરૂં પડાઇ રહ્યું છે.
અશુદ્ધ પાણીને કારણે અંજારના લોકોને હાલાકી
આ પાણી કુદરતી રીતે મીઠું છે. તેથી વખણાય પણ છે. પરંતુ હવે આ પાણી પીવાલાયક પણ રહ્યું નથી. છેલ્લા દોઢેક માસથી પાણી બરાબર ન હોવાનું, અશુદ્ધ હોવાનું લોકો અનુભવી રહ્યા હતા. તેના અનુસંધાને નગરપાલિકામાં રજૂઆત કરતા ત્યાંથી આ પાણીની ચકાસણી કરવાનું લોકોને કહેવામાં આવ્યું.
આથી લોકોએ સ્વખર્ચે ગાંધીધામમાં આવેલી સરકારી લેબોરેટરીમાં પાણીનું સેમ્પલ ચેક કરાવ્યું તો રિપોર્ટમાં પાણી નોનપોટેબલ એટલે કે પીવા માટે અયોગ્ય હોવાનું જણાયું હતું. પાણી
અશુદ્ધ કેમ છે તેની ચકાસણી કરતાં આ પાણીનું ક્લોરીનેશન થયું ન હોવાનું જણાયું હતું.
બોરના પાણીમાં ઉમેરવામાં આવે છે ટપ્પર ડેમનું પાણી
શા માટે પાણીમાં ક્લોરીનેશન કરાતું નથી? તેવું નગરજનોએ પૂછતાં નગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે, પાણીમાં લિક્વીડ ક્લોરીન નખાય, ઉપરાંત બોરના પાણીમાં ટપ્પર ડેમનું પાણી પણ ભેળવાય છે.
લિક્વીડ ક્લોરીન થોડા સમયમાં ઉડી જાય છે. તેના કારણે ક્લોરીનેશન કરાયું ન હોય તેવું જણાઇ શકે. બાકી ક્લોરીનેશન તો કરાય છે. જો કે લોકોનું માનીએ તો પાણી અશુદ્ધ જ આવે છે. નગરપાલિકા દ્વારા પાણીનું ક્લોરીનેશન કરાતું જ નથી. આના કારણે જ શહેરના લોકોમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે.