અંજાર નગરની સુખાકારીની જવાબદારી જેના માથે છે તેવી અંજાર નગરપાલિકાના કોમર્શિયલ કોમ્પલેક્ષનું બિલ્ડીંગ બિસ્માર બની ગયું છે. આ બિલ્ડીંગની છતમાંથી વારંવાર પોપડા ખરી રહ્યા છે. પરંતુ નથી તેને વ્યવસ્થિત રિપેર કરાતું કે નથી તેને તોડીને નવું બંધાતું. અહીં નાની મોટી ખાનગી ઓફિસો આવેલી છે. તેમાં લોકો જીવ મુઠ્ઠીમાં લઇને કામ કરે છે.
2001ના ભૂકંપમાં આ બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત બન્યું હતું. પરંતુ જે- તે સમયે પણ તેની દરકાર કરાઇ ન હતી. અંજાર નગરપાલિકાનું આ કોમ્પલેક્ષ શહેરના ભારે અવરજવરવાળા વિસ્તારમાં છે. મામલતદાર કચેરીની નજીક જ આ કોમ્પલેક્ષ હોવાના કારણે અહીંથી લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. તેમ જ નજીકમાં જ અંજારના કાઉન્સિલરની અને સ્ટેશનરીની દુકાનો પણ આવેલી છે.
થોડા સમય પહેલા જ નગરપાલિકાના ઇજનેરે આ બિલ્ડિંગને તપાસીને તેને રિપેર કરવાની જગ્યાએ પાડીને નવું બનાવવા સુચવ્યું હતું. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો આ અંગે ધ્યાન આપતા ન હોવાથી લોકોને જીવ મુઠ્ઠીમાં લઇને બિલ્ડિંગમાં આવવું પડે છે. કોમ્પલેક્ષમાં મોટાભાગે અંજારના ધારાશાસ્ત્રીઓની ઓફિસો આવેલી છે. તેમાંથી બે તો થોડા સમય પહેલા જ પડી ગઇ હતી. આમ છતાં જીવના જોખમે લોકોને અહીં કામ કરવું પડે છે.
અવારનવાર પોપડા ખરવાની ઘટના બને છે. બે-ત્રણ દિવસ પહેલા જ છતમાંથી પોપડા ખર્યા હતા. તે કોમ્પલેક્ષની બહારના ભાગે પડ્યા હતા. તેના કારણે ઓફિસોમાં બેઠેલી વ્યક્તિઓનો બચાવ થયો હતો તો સદનસીબે રાહદારીઓને પણ ઇજાઓ થઇ ન હતી.
આ બિસ્માર અને જર્જરિત ઇમારત જો તોડી પાડીને નવી નહીં બનાવાય તો ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ અહીંના લોકોને સતાવી રહી છે. નગરપાલિકાના સત્તાધિશોએ આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવો જોઇએ, તેવી પ્રજાની લાગણી છે.