આંજણા ચૌધરી સમાજ દ્વારા કરાઈ અનોખી પહેલ, ધાનેરા ખાતે યોજાયેલી બેઠકમાં સમાજ સુધારા માટે લેવાયા 21 મહત્વના નિર્ણયો.
ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની બેઠક
સમાજ સુધારણાને લઈ યોજાઈ બેઠક
બેઠકમાં સમાજ સુધાર માટે 21 ઠરાવ કરાયા
દાઢી રાખનારને 51 હજારના દંડની જોગવાઈ
ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની સમાજ સુધારણાને લઈ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ સુધારા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું ફરમાન કરાયું છે. આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. આમ ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિન્હ કર્યો છે.
ગઈકાલે ધાનેરાના કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી બેઠકમાં શિકારપુરા ધામના ગાદિપતિ દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં. આથી આ બેઠકમાં દાઢી રાખનાર આંજણા ચૌધરી સમાજના યુવાનોને દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વ્યસનો બંધ કરવા માટે હાકલ
આ ઉપરાંત બેઠકમાં સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. આજણા ચૌધરી સમાજની બેઠક મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરવાની હાંકલ કરી હતી. જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.
લગ્ન પ્રસંગને લઈને પણ બનાવાયા નિયમો
આ ઉપરાંત આ બેઠકમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં આપવા, લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે.