ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ વિધાનસભા બેઠક પર મોટો વળાંક આવ્યો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. સાથે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની માફી પણ માંગી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે એક જ દિવસ બાકી છે ત્યારે ગોંડલમાં હાલ રાજકારણ ભારે ગરમાયું છે. ગોંડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ આમને સામને આવી ગયા છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ મોટો ધડાકો કરતા ગોંડલનું રાજકારણ ગરમાયું છે.
અનિરુદ્ધસિંહ જાડેજાનો મોટો નિર્ણય
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ધડાકો કર્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'હું અમિત શાહ અને નરેન્દ્ર મોદીની માફી માંગુ છું. હું કોંગ્રેસમાં નથી પરંતુ કોંગ્રેસનું સમર્થન કરીશ. હું ગોંડલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈને સમર્થન કરીશ. હું ભાજપમાં જ છું પણ ગોંડલ બેઠક પર જ કોંગ્રેસને સમર્થન આપીશ.'
રીબડાના મહિપતસિંહના પરિવારને જ ટાર્ગેટ કરે છે જયરાજસિંહઃ અનિરુદ્ધસિંહ
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, મારે મારી વાત પાર્ટી સુધી પહોંચાડવાની છે. દરેક લોકો જાણે છે કે ગોંડલમાં અત્યારે મારું કુટુંબ ચૂંટણી લડી રહ્યું નથી, મેં ફક્ત ટિકિટની માંગ કરી હતી. આ લોકશાહીમાં દરેકને ટિકિટ માંગવાનો અધિકાર છે, ટિકિટ આપવી કે ન આપવી એ પાર્ટી નક્કી કરે છે. પાર્ટીએ ગીતાબાને ટિકિટ આપી છે, જયરાજસિંહ સભાઓમાં ફક્ત રીબડાના મહિપતસિંહના પરિવારને જ ટાર્ગેટ કરે છે. જયરાજ પાસે રીબડાના મહિપતસિંહનો એક જ મુદ્દો છે, વિકાસનો મુદ્દો જ નથી. હવે વાત સ્વમાનની આવી છે. હું કોંગ્રેસમાં જોડાણો નથી, ફક્ત ગોંડલ બેઠક પુરતુ કોંગ્રેસને મારું સમર્થન છે.
8મી તારીખે જયરાજની હારથી ઘરે-ઘરે લોકો ખાતા હશે લાપસી: જાડેજા
તેઓએ જણાવ્યું કે, 'મને ગોંડલની જનતા પર વિશ્વાસ છે કે પરિવર્તન અમે બધા સાથે મળીને લાવીશું અને જયરાજને હરાવીશું. 8મી તારીખે તમે લોકો જોશો કે ગોંડલ તાલુકાની અંદર લાપસીના આંધણ મૂકાણા હશે. જયરાજની હારથી ઘરે-ઘરે લોકો લાપસી ખાતા હશે.'
અનિરુદ્ધસિંહ ની ગોંડલની જનતાને અપીલ
સાથે જ તેમણે મીડિયા મારફતે ગોંડલની જનતાને ખાતરી આપી કે, હું ગોંડલમાં ઓફિસ બનાવીશ અને તમારી સાથે ઉભો રહીશ. જયરાજ કે તેના માણસો દાદાગીરી કરતા હશે તો તેનો સામનો કરવા માટે પહેલા મારી તૈયારી હશે. તમારે મૂઝાવાની જરૂર નથી. તમે 1 તારીખે કોંગ્રેસનું બટણ દબાવીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડો.
ચૂંટણી પંચ એલર્ટ
બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા છે. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓને તૈનાત કરાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી જાહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ એલર્ટ મોડ પર આવી ગયું છે.
ગોંડલમાં વધુ બંદોબસ્ત આપવા પોલીસને ચૂંટણીપંચનો નિર્દેશ
ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી હતી.