અમદાવાદના ઇસનપુરમાં જાહેર રસ્તા પર પશુનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જો કે, હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવાયો છે.
ઇસનપુરમાં ગાયનો મૃતદેહ મળતા લોકોમાં રોષ
હિન્દુ સંગઠનોએ આપ્યું બંધનું એલાન!
હિન્દુ સંગઠનોએ રસ્તા પર કર્યો ટ્રાફિક જામ
અમદાવાદના ઈસનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી રોડ ઉપર આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવ્યો છે. જેને લઇને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આથી આ મામલે હિંદુ સંગઠનોએ ઈસનપુરમાં બંધનું એલાન આપ્યું છે. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે ખુલ્લેઆમ ગાયનો મૃતદેહ જોવા મળતા હિંદુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો છે. આ ઘટનાને લઇને રસ્તા ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો
હાલમાં આ ઘટનાને લઇને કોઇ અણબનાવ ના બને એ માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો છે. આ મામલે હિંદુ સંગઠનોની એવી માંગ છે કે, 'જે ગૌમાંસ લઇ જવામાં આવે છે તેને સંપૂર્ણ બંધ કરવામાં આવે. આ ઘટનાને લઇને પોલીસ તાત્કાલિક એક્શન લે અને જે-તે જવાબદાર લોકોની ધરપકડ કરે. હાલમાં ગાયના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, આ જે અંશ મળી આવ્યા છે તે ખરેખર શું ગાયના જ છે કે પછી અન્ય કોઇ પશુના છે તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે.
ગાયના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ
તમને જણાવી દઇએ કે, હાલ શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે અને એમાંય મહાદેવના મંદિરની સામે જ્યારે આ રીતે મૃતદેહ મળી આવે ત્યારે સ્વાભાવિક છે કે આ એક ગંભીર ઘટના કહી શકાય. કારણ કે આ ઘટનાને લઇને કોમી હિંસા ફાટી નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઇ જતી હોય છે. આથી, હાલ આ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
આ મામલે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઇ
જો કે, આ મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, 'આ મામલે પોલીસને બાતમી મળી હતી કે ગોવિંદવાડીથી ઇસનપુર જતા રસ્તા પર કોઇ પશુના અંગો ફેંકીને ફરાર થઇ ગયું છે. આ બાબતની જાણ થતા તુરંત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જગ્યા પર પડેલા અંગોને પોલીસે તપાસ અર્થે કબજે લીધા. સ્થાનિક જગ્યાનું પંચનામું કર્યું તેમજ સમગ્ર જગ્યાને પોલીસે સીઝ કરી દીધી છે. તેમજ CCTV ફૂટેજ મેળવવાની પણ હાલ તજવીજ હાથ ધરાઇ છે. આ મામલે સત્વરે જે-તે વ્યક્તિઓ આમાં જવાબદાર હશે તેને એરેસ્ટ કરવામાં આવશે અને જરૂરી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'