સામાન્ય રીતે અમદાવાદીઓમાં અલગ અલગ પ્રકારનાં શ્વાન અને બિલાડી પાળવાનો શોખ સતત વધતો જતો હોય તેવું દેખાઇ આવે છે. અનેક શોખીનો ઘરે પોપટ-કાચબા અને સસલાં પણ રાખતા હોઇ પોતાના અંગત સ્નેહી તરીકેની લાગણી ઠાલવતા હોય છે, જોકે અનેક વાર શ્વાનપ્રેમીઓ સહિતના આ શોખીનો પોતાના જીવથી પણ અદકેરા એવાં શ્વાન-બિલાડીના મૃત્યુ બાદ તેમને યોગ્ય સ્થળે દાટવાના મામલે ભારે અગવડ અનુભવે છે.
કેટલીક વખત અવાવરું જગ્યાએ જઇ પોતાનાં લાડકાં પ્રાણી-પક્ષીઓને દાટવાં પડે છે. અમુક વાર દાટેલી જગ્યાને રખડતાં કૂતરાં કે કાગડા ચૂંથી નાખતાં હોઇ જે તે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાય છે, જોકે મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ બિલાડીથી હાથી સુધીનાં પાલતુ પ્રાણીના મનુષ્યની જેમ અગ્નિસંસ્કાર માટે અલગ સીએનજી સ્મશાનગૃહ બનાવવાની દિશામાં ગંભીર વિચારણા હાથ ધરી છે.
શહેરનાં રખડતાં ઢોર રસ્તામાં મૃત હાલતમાં મળી આવે તો જાગૃત નાગરિક દ્વારા તંત્રના પેલ ડેપો કે વોર્ડ ઓફિસમાં આની ફરિયાદ કરાય છે કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ગ્યાસપુર ખાતે આવેલ કાર્કસ ડેપોને પહોંચાડાય છે. કાર્કસ ડેપોથી મૃત પ્રાણીના બોડીને ઊંચકી ગ્યાસપુર સુધી લઇ જવા માટે સવાર અને સાંજની શિફટમાં બે-બે વાહન દોડે છે. ગ્યાસપુરના કાર્કસ ડેપોમાં નિશ્ચિત જગ્યાએ ઊંડા ખાડા ખોદી તેમાં મીઠું નાખી રખડતાં પશુના મૃતદેહનો નિકાલ કરાય છે, જ્યારે મૃત વાંદરાની બોડીનો નિકાલ કાંકરિયા ઝૂના સત્તાવાળાઓ કરે છે.
બીજી તરફ શહેરમાં શ્વાન-બિલાડી, પોપટ-કાચબા, સસલાને ઘરમાં પાળવાનો શોખ અમદાવાદીઓમાં વધતો જતો હોઈ ઉંમરના કારણે કે બીમારીથી મૃત્યુ પામતાં પાલતુ પ્રાણીઓને યોગ્ય સ્થળે દાટવા સહિતની મૂંઝવણ પણ વધતી જાય છે. જે શોખીનો બંગલા ધરાવતા હોય તેઓ પોતાના બંગલા પરિસરમાં પાલતુ પ્રાણીને દાટવાનું પસંદ કરે છે, પરંતુ ફલેટ વિસ્તારમાં રહેતા લોકો પાલતુ પ્રાણીને દાટવા માટે સુરક્ષિત જગ્યા શોધવામાં મુશ્કેલી અનુભવે છે.
ગઇ કાલે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં બોડકદેવના કોર્પોરેટર અને કમિટીનાં સભ્ય દીપ્તિબહેન અમરકોટિયાએ પશુપ્રેમીઓને પડતી આ મુશ્કેલીઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. દીપ્તિબહેન અમરકોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં શ્વાન-બિલાડી વગેરે પાળનારા શોખીનોની સંખ્યા નોંધપાત્ર બની હોઈ તેમનાં પાલતુ પ્રાણીઓ માટે અલગ સીએનજી સ્મશાનગૃહની વ્યવસ્થા તંત્રએ કરવી જોઇએ.
આ પ્રાણીઓ માટે અલગ સીએનજી (CNG) સ્મશાનગૃહની વ્યવસ્થા કરવાથી પશુપ્રેમીઓને પણ તેમનાં પ્રાણીના યોગ્ય અગ્નિસંસ્કાર થવાથી આનંદની લાગણી થશે તેમજ અવાવરું જગ્યાએ દાટેલાં પ્રાણીઓ રખડતાં પશુઓથી ચૂંથાતાં બચી જઇ તે વિસ્તાર રોગચાળામુક્ત બનશે.
દરમ્યાન હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલ કહે છે, આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગના વડા ડો.ભાવિન સોલંકીને લેખિતમાં પત્ર લખી પાલતુ પ્રાણી માટેના અલગ સીએનજી સ્મશાનગૃહની વ્યવસ્થા ગોઠવવાનો અનુરોધ કરાશે. જ્યારે ડો.ભાવિન સોલંકી કહે છે, ચેરમેનના લેખિત પત્ર બાદ આ સંદર્ભે સક્ષમ સત્તા સમક્ષ રજૂઆત કરી તેનો અભિપ્રાય લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં માનવીના અગ્નિસંસ્કાર માટે એલિસબ્રિજ, થલતેજ સહિત કુલ ૧ર જગ્યાએ સીએનજી સ્મશાનગૃહ કાર્યરત છે. અમદાવાદમાં વર્ષે ૪પ,૦૦૦ મરણ નોંધાતાં હોઈ દૈનિક ૧રપ નાગરિકના અગ્નિસંસ્કાર માટે કુલ ર૬ સીએનજી ભઠ્ઠી ચાલે છે.