આંગણવાડી કર્મચારીઓની હડતાળને લઈને સરકારે બેઠકનો સમય માંગતા આંગણવાડી કર્મચારીઓએ ધરણા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓની હડતાળ મોકૂફ
માગણીઓને લઈ સરકારનું પોઝિટિવ વલણ
19 તારીખે સરકાર સાથે વધુ એક બેઠક યોજાશે
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પોતાની જુદી જુદી માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી આંગણવાડી કર્મચારી મહિલાઓ હડતાલના માર્ગે વળી હતી.ત્યારબાદ સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી સંગઠન સાથે બેઠક યોજવામાં આવી હતી.આંગણવાડી કર્મચારીઑની માગણીઓને લઈ સરકારે પોઝિટિવ વલણ અપનાવ્યું હોય તેમ સરકારે આગામી 19 તારીખ સુધી આંગણવાડી કર્મચારી મંડળની માગણી સંતોષવા માટે મુદત માંગી છે.
19 તારીખ બાદ આગળની મુહિમ હાથ ધરશે મહિલાઓ
બીજી તરફ પગાર વધારા સહીતની માંગોને પગલે સરકારનું પોઝિટિવ વલણ જોવા મળતા આજથી આંગણવાડીના કર્મચારી મંડળની મહિલાઓ દ્વારા ધારણા સહિતના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. જો આગામી 19 તારીખ સુધીમાં સરકાર દ્વારા કર્મચારી મંડળને લગતી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો 20 તારીખથી ફરી એક વખત વિરોધ કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી કર્મચારી મંડળની માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીની તમામ બહેનો કામથી અળગી રહેશે. તેમ પણ જાણવા મળી રહ્યું છે.
ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા સહીતની માંગ
આંગણવાડી બહનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ કરવા સહીત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે પોલીસ, તલાટીઑની માંગ સરકારે સ્વીકાર્યા બાદ હવે આંગણવાડી કર્મીઓના આંદોલન સામે સરકાર ઝૂકે અને માંગ સ્વીકારે તેવા ઉજળા સંજોગો વાર્તાઇ રહ્યા છે.