નાનાં ભૂલકાંઓ માટેની આંગણવાડી માટે સરકાર લાખો રૂપિયા ફાળવે છે, પરંતુ કેટલીક આંગણવાડી બેદરકારીના કારણે શરૂ નહીં કરાતાં અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઇ છે. શહેરમાં મેમ્કો બ્રિજ નીચે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લાં ચાર વર્ષથી તૈયાર થઇ ગયું હોવા છતાં તેમાં આંગણવાડી શરૂ નહીં કરાતાં અસામાજિક તત્ત્વોએ તેમાં કબજો જમાવી દીધો છે. મેમ્કો વિસ્તારના કોર્પોરેટરે આ બાબતે પ૦ જેટલી ફરિયાદ કરી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નિંભર તંત્રને આ વાતને ગંભીરતાથી લીધી નથી.
રોજ રાતે દારૂ-જુગારની મહેિફલ જામે છે. ગંદકી અને અનેક પ્રકારનાં અસામાજિક દૂષણો સાથેનું આંગણવાડીનું મકાન આસપાસના લોકોની અનેક ફરિયાદ છતાં સરકારી વિભાગ કે કોર્પોરેશનના ધ્યાને હજુ સુધી આવ્યું નથી.
આસપાસના લોકોની ફરિયાદ છે કે રાતના સમયે આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ છે. આ અંગે મેમ્કો વિસ્તારના કોર્પોરેટર ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે આ બાબતે કોર્પોરેશનમાં અનેક વખત ફરિયાદ કરાઇ છે, પરંતુ હજુ સુધી તેને ધ્યાને લેવાઇ નથી. મારા બજેટમાંથી બનાવેલા આંગણવાડીના રસોડાના પથ્થરની પણ ચોરી થઇ ગઇ છે અને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી મકાનમાં લાઇટનું મીટર પણ લગાવાયું નથી. આ મકાનમાં અસામાજિક તત્ત્વોનો અડ્ડો ચાલે છે અને ભૂલકાંઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવા માટેની મજબૂરી છે.
નધણિયાતા જેવા આંગણવાડીના આ મકાનમાંથી બારી-બારણાં, સ્ટોપર, નકૂચા, નળ, બલ્બ, વોશ બેસિન સહિતની તમામ ચીજવસ્તુઓની ચોરી થઇ ચૂકી છે. ખંડેર જેવા બનેલા આંગણવાડીના મકાનની આસપાસથી કોર્પોરેટરો અને સરકારી વિભાગના અધિકારીઓ પણ પસાર થતા હશે, પરંતુ હજુ સુધી ચાર-ચાર વર્ષ વીતવા છતાં સંપૂર્ણ બેજવાબદારી અને બેદરકારી સાથે આંગણવાડી તરફ ધ્યાન આપવાનું ટાળ્યું છે.
એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ઓક્ટોબરે દેશભરમાં સ્વચ્છતાની હાકલ કરી છે અને ગુજરાત સરકાર પણ સ્વચ્છતા અભિયાન પાછળ કરોડોનું આંધણ કરે છે ત્યારે ખુદ સરકારી વિભાગના સરકારી મકાનની આ દુર્દશા હજુ સુધી તંત્રના ધ્યાને આવી નથી.
જે બાળકોનો આ આંગણવાડીમાં રમવાનો હક છે તે પણ અસામાજિક તત્ત્વોએ પચાવી પાડ્યો છે. આંગણવાડીની આસપાસ ગંદકી, ઉકરડા કે પછી આંગણવાડીમાં અપાતા ખોરાકમાં પણ ક્યારેક જીવજંતુ નીકળ્યા હોવાની ફરિયાદો તો હવે સામાન્ય બની છે, પરંતુ અમદાવાદ જેવા શહેરમાં આંગણવાડીની આવી હાલત સરકારી વિભાગની નિંભરતાનો ઉમદા નમૂનો છે.
ચાલુ વર્ષના બજેટમાં જ આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.૭પ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે નવી આંગણવાડી બનાવવાની યોજનાનો પણ સમાવેશ કર્યો છે. નવી ૧ર૦૦ આંગણવાડી બનાવવા માટે રૂ.ર૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ, સરકાર કરોડો રૂપિયા આંગણવાડીનાં ભૂલકાંઓ માટે ખર્ચે છે, જેમાંની કેટલીક આંગણવાડીઓ તો સ્માર્ટ આંગણવાડીની તુલનામાં આવે છે, જ્યારે કેટલીક આંગણવાડીઓના હાલ ભૂતિયા આંગણવાડી જેવા બની રહ્યા છે.