ભુજ –ભાવનગર રૂટની એસટી બસમાં બેસી મોરબી ગયેલા મહેન્દ્ર પ્રવીણ નામના આંગણીયા પેઢીના કર્મચારીના રૂપિયા ભરેલા થેલાની ચોરી થયાની ઘટના પ્રકાસમાં આવી છે. ભુજથી મોરબી વચ્ચે રોડ પર કોઇ પણ સ્થળેથી રૂપિયા ભરેલ થેલો ઉપડી ગયો હતો જે આંગણીયા પેઢીના કર્મચારીને જાણ થતા તેમણે મોરબી પોલીસને જાણ કરી હતી. જેને લઇને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ત્રણ થેલા પૈકી એક રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી
આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર પ્રવીણ માતબર રોકડ રકમ, સોનુ અને ચાંદી થેલામાં લઈને ભુજથી ભાવનગર તરફ જઈ રહેલ એસટી બસમાં બેઠા હતા આ દરમિયાન બસમાંથી મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારીના ત્રણ પૈકી એક રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી થઇ ગઈ હતી. નવાઇની વાત એ છે કે માતબાર રકમની ઊઠાંતરી થયાની જાણ આંગડિયા પેઢીના કર્મચારીને છેક મોરબી આવીને થઇ હતી. જેથી તેમણે તાબડતોબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન થેલામાં કેટલી રકમ હતી તે અંગે કર્મચારીએ કોઇ ફોડ પડયો ન હતો. જેથી પોલીસની ઊલટ તપાસમાં ભચાઉ નજીક થેલો ઉપડી ગયો હોવાનું કર્મચારીએ રટણ રટયું હતું.
સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી
જો કે રોકડ ભરેલા થેલામાં કેટલા રૂપિયા હતા અને ક્યાંથી થેલો ઉપડી ગયો તે અંગે આંગડિયા પેઢીના કર્મચારીએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.આંગડીયા પેઢીના કર્મીઓના થેલાની ઉઠાંતરી કરનાર ફરાર શખ્સને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.