વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડમાં રમાનારા વન ડે ક્રિકેટ વર્લ્ડકપ માટે ગઈ કાલે રાતે ઓલરાઉન્ડર જેસન હોલ્ડરના નેતૃત્વમાં ટીમની જાહેરાત કરી. વિન્ડીઝે ટીમમાં IPLમાં ધૂમ મચાવી રહેલા ક્રિસ ગેલ અને આન્દ્રે રસેલને સામેલ કર્યા છે, જ્યારે કિરોન પોલાર્ડ, સુનીલ નરૈન, ડ્વેન બ્રાવો અને માર્લોન સેમ્યુઅલ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. વર્લ્ડકપ માટે વિન્ડીઝ ટીમ જાહેર કરનારો અંતિમ દેશ છે. ટૂર્નામેન્ટમાં કુલ ૧૦ દેશની ટીમ ભાગ લઈ રહી છે.
રોબર્ટ હેન્સની અધ્યક્ષતામાં મળેલી પસંદગી સમિતિએ ગઈ કાલે રાતે વિન્ડીઝ ટીમની જાહેરાત કરી. રોબર્ટે જણાવ્યું, ''ટીમમાં પસંદગી માટે ઘણા ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. એ સ્થિતિમાં પસંદગી આસાન નહોતી. અમે ટીમની પસંદગી માટે ફિટનેસ, ફોર્મ અને ખેલાડીઓની ટીમમાં ભૂમિકાને ધ્યાનમાં રાખી છે. અમે એવા ખેલાડીઓનાં નામ પર વિચાર કર્યો હતો, જેઓ છેલ્લાં બે વર્ષથી નેશનલ ટીમમાંથી રમ્યા નથી.''
પસંદગીકારોએ કેપ્ટન તરીકે જેસન હોલ્ડરને જાળવી રાખ્યો છે. IPLમાં પંજાબ તરફથી ધમાકેદાર બેટિંગ કરી રહેલાે ક્રિસ ગેલ વર્લ્ડકપમાં પણ ઓપનરની ભૂમિકા ભજવશે. વિકેટકીપર તરીકેની જવાબદારી શાઇ હોપ અને નિકોલસ પૂરન સંભાળશે. ઓલરાઉન્ડર તરીકે આન્દ્રે રસેલ અને કાર્લોસ બ્રેથવેટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને IPLમાં કોલકાતા તરફથી રમી રહ્યા છે.
પોલાર્ડ-નરૈન-બ્રાવો આઉટ
IPL ૨૦૧૯માં શાનદાર પ્રદર્શન બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કિરોન પોલાર્ડને વિશ્વકપની ટીમમાં સ્થાન મળશે, પરંતુ એવું બન્યું નથી. પોલાર્ડ આ વર્ષે IPLમાં ૧૦ મેચ રમ્યો છે, જેમાં તેણે ૧૭૫.૬૭ના સ્ટ્રાઇક રેટથી ૧૯૫ રન બનાવ્યા છે. સ્પિનર સુનીલ નરૈન અને સીએસકેના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની પણ વિશ્વકપ ટીમમાં વાપસી થઈ શકી નથી.
વિન્ડીઝ વિશ્વકપ જીતનારી પ્રથમ ટીમ છે, તેણે ૧૯૭૫ અને ૧૯૭૯માં સતત બે વાર આ ખિતાબ જીત્યો હતો. વર્ષ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતે વિશ્વકપની ફાઇનલમાં વિન્ડીઝને હરાવીને તેનો દબદબો ખતમ કરી નાખ્યો હતો. ત્યાર બાદ વિન્ડીઝ ટીમની ક્યારેય પણ વિશ્વકપની ફાઇનલમાં પહોંચી શકી નથી. વિન્ડીઝ ૩૧ મેએ પાકિસ્તાન સામે રમીને પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત કરશે.