મહેમાનગતિના મામલે ભારતીયોનો કોઈ તોડ નથી. કારણ કે તેઓ અતિથિ દેવો ભવની ભાવનાને વરેલા છે. જોકે આપણે જે કિસ્સાની વાત કરવી છે તે કોઈ અતિથિ નથી પરંતુ એક જમાઈ સાથે સંબંધિત છે. એક પરિવારે તેના થનાર જમાઈ જે ખાતરદારી કરી તેનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિવિધતા ધરાવતા ભારત દેશમાં એક એવો રિવાજ છે જે હેઠળ જમાઈની ખુબ ખાતરદારી લેવાય છે.
વાર્ષિક ફસલ ઉત્સવ પર જમાઈને ઘર બોલાવવાની પ્રથા
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમ ગામમાં એક પરિવારે રવિવારે તેમના થનાર જમાઈને શાહી ભોજન આપ્યું જેમાં 365 પ્રકારની ડિશ પીરસવામાં આવી. તેલુગુ પરંપરામાં વાર્ષિક ફસલ ઉત્સવ પર જમાઈને ઘર બોલાવવાની પ્રથા છે. આ અવસરે પરિવારે તેના થનાર જમાઈને ઘેર બોલાવ્યો અને તેમને જાતજાતના 365 પ્રકારના પકવાન પીરસ્યાં હતા.
શાહી ભોજનમાં શું શું હતું
જમાઈને પીરસવામાં આવેલા શાહી ભોજનમાં 30 અલગ અલગ પ્રકારની કરી, ભાત, બિરિયાની, પુલીહોરા, 100 જુદાજુદા પ્રકારની આધુનિક અને પારંપરિક મિઠાઈઓ તથા ગરમ અને ઠંડા પીણા, પેસ્ટ્રી, આઈસક્રીમ, બિસ્કિટ, ફળ, કેક વગેરે સામેલ હતું. આ ભવ્ય પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં વર અને વધૂના બન્નેના પરિવાર હાજર રહ્યાં હતા તથા જમાઈને થઈ શકે તેટલી ખાતરદારી કરી હતી.
ભલભલા અમીરોના લગ્નપ્રસંગમાં પણ આવી વાનગી ન હોય તેટલી વાનગી
આંધ્રના પરિવારે તેમના થનાર જમાઈના માનમાં જે શાહી ભોજન આપ્યું તેટલી વાનગી તો અમીરોના લગ્નપ્રસંગમાં પણ હોતી નથી. આ પરિવારની જમાઈની ખાતરદારીની ગામ આખામાં ચર્ચા છે અને જમાઈ કેટલા મહત્વના વ્યક્તિ છે તે પરિવારે સાબિત કરે દેખાડ્યું છે.