આ પરિવારના પાડોશીઓ કહેતા હતા કે આ પરિવાર લોકડાઉન દરમિયાનથી વિચિત્ર વર્તન કરતો હતો. આ ઘરમાંથી રવિવારે રાત્રે પાડોશીઓએ ઘણી બૂમો સાંભળી હતી.
માતા પિતાએ જ કરી બે દીકરીઓની હત્યા
આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં બન્યો બનાવ
પોલીસને કહ્યું, સવારે સતયુગ શરૂ થતાં જ દીકરીઓ જીવિત થઈ જશે
આંધ્રપ્રદેશના ચિત્તૂરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં આંધળા એક માતા-પિતાએ તેમની બે પુત્રીની હત્યા કરી દીધી છે. મહત્વનું છે કે આ દીકરીઓની માતા ખાનગી શાળામાં શિક્ષિકા છે, જ્યારે પિતા મહિલા કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો. એવું મનાઈ રહ્યું છે કે હત્યા બાદ બંને માતા-પિતા લાશની સામે બેઠા હતા અને આશા કરી રહ્યા હતા કે તેમની દીકરીઓ ફરીથી જીવતી થઈ જશે, પોલીસે આ ઘટના બાદ બંનેની ધરપકડ કરી લીધી હતી.
મહત્વનું છે કે આ દંપતીની મોટી પુત્રી અલેખ્યા 27 વર્ષની હતી અને તેણે ભોપાલથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે નાની પુત્રી સાઇ દિવ્યા 22 વર્ષની હતી. દિવ્યાએ બીબીએનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય તે મુંબઈની એઆર રહેમાન મ્યુઝિક કોલેજની વિદ્યાર્થીની હતી. પોલીસ ટીમ તેમના ઘરે પહોંચતાંની સાથે જ પહેલા તો આ માતાપિતાએ એ તેમનો વિરોધ કર્યો હતો જો કે પોલીસે બળપ્રયોગ કરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
સામે પડ્યા હતા બે દીકરીઓના શબ
ઘરમાં પ્રવેશતા જ પોલીસે જોયું કે પૂજા રૂમમાં એક લાશ પડી હતી, જ્યારે કે બીજા રૂમમાં બીજી પુત્રીની લાશ હતી, અને રૂમમાં લાલ કપડાં લટકાવવામાં આવ્યા હતા. જ્યારે કે પૂજાની ચીજવસ્તુઓ મૃતદેહની સામે વેરવિખેર પડી હતી. પોલીસે પતિ-પત્નીને કસ્ટડીમાં લઈ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર માતાપિતાએ પહેલા ત્રિશૂળ દ્વારા દિવ્યાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની મોટી પુત્રી અલેખ્યાના મોંમાં તાંબાની વાટકી નાખી હતી અને ત્યારબાદ તેના માથા પર જોરથી ડંબલનો માર માર્યો હતો. પુત્રીની હત્યા કર્યા પછી પિતા પુરુષોત્તમે તેના સાથીઓને આ અંગે માહિતી આપી હતી જેના પછી આ લોકો તેના ઘરે આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.
આ મામલે DSP રવિ મનોહર ચારીએ જણાવ્યું હતું કે આખો પરિવાર અંધશ્રદ્ધાળુ છે. તેમણે વધુમાં કહ્યું, 'આ લોકોએ એમ વિચારીને તેમની પુત્રીની હત્યા કરી હશે કે તેઓ ફરીથી જીવિત હશે. છોકરીઓની માતા પદ્મજાએ દીકરીઓને માર માર્યો હતો અને આ પ્રસંગે તેનો પતિ પુરુષોત્તમ નાયડુ પણ હાજર હતો.
'કલયુગ સમાપ્ત થશે અને સતયુગ શરૂ થશે' : હત્યારું દંપતી
આ પરિવારના પાડોશીઓ કહે છે કે આ પરિવાર લોકડાઉન દરમિયાનથી જ વિચિત્ર વર્તન કરતો હતો. આ ઘરમાંથી પાડોશીઓએ રવિવારની રાત્રે ચીસો સાંભળી હતી, આ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેમની બંને છોકરીઓ સૂરજ ઉગતાંની સાથે જ જીવતી થઈ જશે, કેમ કે કલયુગનો અંત આવશે અને સોમવારથી 'સતયુગ' શરૂ થઈ જશે.