ચોખાનો જથ્થો ચેક કરતા પ્લાસ્ટિકના ચોખા હોવાનું આવ્યું સામે
સ્થાનિકો દ્વારા ચોખાને ચેક કરતો વીડિયો વાયરલ કરાયો
શાળાઓમા અપાતું મધ્યાહન ભોજન ગરીબોના બાળકોને કુપોષણથી બચાવે છે. પણ આ મધ્યાહન ભોજનમાં પણ હવે લાલિયાવાડી થઈ રહી છે. એક વખત નહીં પણ અનેક વખત ગરીબોના મધ્યાહન ભોજનમાં ક્યાંક તો કીડા નીકળે છે તો કયા અનાજ સડેલુ પણ હવે તો હદ ત્યારે થઈ કે મધ્યાહન ભોજનના ચોખા પ્લાસ્ટિકના નીકળ્યા.
વાયરલ વીડિયોએ ખૂલી પોલ
આણંદના બાલિનટા ગામનો આ વીડિયો તમને વિચારવા મજબૂર કરશે. ગરીબાની આંતરડી ઠારતી મધ્યાહન ભોજનની યોજનામાં પણ કાળાબજારિઓ કહો કે લે-ભાગું તત્વો પોતાની કાળી નજર નાખી રહ્યા છે. વાત એમ છે કે મધ્યાહન ભોજનને ચેક કરવા બાલિનટા ગામના જાગૃત નાગરિકો દ્વારા એક વીડિયો આપી ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ચોખાના જથ્થાને ચેક કરવામાં આવી રહ્યો છે. પણ હકીકત સામે આવતા ગ્રામજનો ચોંકી ઉઠયા હતા, ચોખાનો તમામ જથ્થો પ્લાસ્ટિકનો નીકળ્યો.આ એ ચોખા છે જેને ગરીબ બાળકો રોજ ખાઈ રહ્યા છે. આ એ ચોખા છે જે ખાઈ બાળકો સીધા દવાખાના ભેગા થઈ રહ્યા છે.
પ્લાસ્ટિક ચોખા આવ્યા ક્યાંથી?
આ તો કેવી ભેળસેળ કે ખેડૂતે પકવેલું ધાન્ય સરકારની યોજના થકી ગરીબો સુધી પહોંચતા પ્લાસ્ટિકનું બની જાય? વાયરલ વીડિયોના જોવા મળી રહ્યું છે કે ચોખા જ પ્લાસ્ટિકના છે એટલે એ તો નક્કી છે કે વચેટિયાઓએ અસલી ચોખાના જથ્થામાં ગોલમાલ કરી છે અને તેના બદલે પ્લાસ્ટિકના ચોખા પધરાવી દીધા છે. ચોખાને સળગાવતા જ તે પ્લાસ્ટિકની જેમ પીગળી રહ્યા છે. તો સવાલ એ છે કે કયા સુધી ગરીબ બાળકોના જીવ સાથે ચેડાં કરવામાં આવશે, શું આ ચોખા બાળકોને કુપોષણથી બચાવશે, આ ચોખા ખાવાથી જો કોઈ બાળક ગંભીર રીતે બીમાર થાય તો જવાબદાર કોણ? ચોખામાં થયેલી આ ગોલમાલનો અસલી ગુનેગાર કોણ? શું સમગ્ર વાયરલ વીડિયોની ગંભીરતાને સમજી કોઈ પગલાં ભરવામાં આવશે કે ભીનુંસંકેલી લેવામાં આવશે? કયા સુધી કાળાબજારીઓ ગરીબ બાળકોના હક્ક પર તરાપ મારતા રહેશે? કયા ગયા એ મોટા અધિકારીઓ જે મધ્યાહન ભોજનના નામે મોટા પગાર ખાઈ રહ્યા છે અને બાળકોને પ્લાસ્ટિક ખાવા મજબૂર કરી રહ્યા છે.
તપાસ થશે ખરી ?
વીડિયોમાં પ્રયોગ કરી બતાવવામાં આવી રહ્યું છે કે કઈ રીતે ચોખા જ પ્લાસ્ટિકના છે તો આણંદના આ વીડિયો મામલે શું સરકાર કે સરકારી તંત્ર કોઈ પગલાં લેશે ખરું? તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જરૂરી છે કારણ કે આ બાળકો ના ભવિષ્યનો સવાલ છે તેના આરોગ્યનો સવાલ છે. વીડિયો વાયરલ થતાજ આણંદના અધિકારીઓમાં દોડધામ મચી છે પણ શું કાળાબજારીઓ સામે કોઈ કડક પગલાં ભરાશે ખરા ? શું અધિકારીઓ દ્વારા જથ્થાને ચેક કરી મોકલવામાં આવતો નથી? આવા ચોખા તો કેટલા ગામડાઓમાં મોકલવામાં આવ્યા હશે ?