અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે વચ્ચે પણ વ્યાજખોરોના આતંકની મોટી ઘટના બનવા પામી છે. સરખેજ પાસે કારમાં યુવકનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈને દસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. આરોપીઓએ મોડી રાતે યુવકના ઘરે જઈને રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ પરિવારે રૂપિયા આપવાની ના પાડતાં તેઓ ત્યાંથી ધમકી આપીને જતા રહ્યા હતા. સરખેજ પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્ર પાસેથી લીધા હતા 7 લાખ રૂપિયા
મૂળ મહેસાણા રહેતા આનંદ ઠક્કરે છ વ્યાજખોર વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આનંદ હર્ષદ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવે છે. આનંદ છેલ્લાં પાંચ વર્ષથી બહુચરાજી રહેતા મિત્ર દશરથભાઈ પટેલને સારી રીતે ઓળખે છે. આનંદે મિત્ર પાસથી સાત લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેનું વ્યાજ જાન્યુઆરી-2023માં ચૂકવ્યું હતું. ત્યારબાદ આનંદ પાસે પૈસાની સગવડ ન થતાં દશરથભાઈને વ્યાજ કે મૂડી આપી શક્યા ન હતા ત્યારબાદ સાવન નામની વ્યક્તિએ આ રૂપિયા માટે આનંદને ફોન કરીને ઉઘરાણી કરી હતી. આ દરમિયાનમાં તેની નાનીનું અવસાન થતાં આનંદ તેના મામા મૂકેશ પૂજારાને ત્યા બાવળા રહેવા ગયો હતો. આનંદે તેનો જૂનો નંબર બંધ કરી દીધો હતો.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ જઈમે માર્યો માર
તારીખ 22 માર્ચ 2023ના રોજ મામા મૂકેશે 50 હજાર રૂપિયા આનંદને આપ્યા હતા અને તેને કહ્યું હતું કે માસા જિતેન્દ્રને આપવાના છે. આથી આનંદ બાવળાથી ચાંગોદર ગયો હતો. આ દરમિયાન દશરથ પટેલ અને સાવન પટેલે આનંદને ફોન કરીને ઉજાલા સર્કલ બોલાવ્યો હતો. જેથી આનંદ માસાને રૂપિયા આપ્યા વગર જ મિત્રને મળવા ગયો હતો. દશરથ અને સાવન તથા સાથીદારો આનંદને કારમાં જબરજસ્તી બેસાડી એસજી હાઇવે તરફ લઇ ગયા હતા. આનંદને એસ જી હાઇવે પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા ત્યાં આનંદને મૂઢ માર માર્યો હતો. સાવને આનંદના ખિસ્સામાંથી મોબાઈલ અને 50 હજાર કાઢી લીધા હતા.
યુવકના મામાને આપી ધમકી
આ દરમિયાન આસપાસના માણસો ભેગા થઇ જતા આનંદને કારમાં તેઓ કલોલ તરફ લઇ ગયા હતા. રાતના સમયે દશરથ અને સાવને આનંદના મામાને ફોન કરી કહ્યું હતું કે બાકી નીકળતા દસ લાખ રૂપિયા આપો અને છોડાવી જાઓ. ત્યારબાદ આનંદે તેના મામા સાથે ફોન પર વાત કરી હતી. આનંદે તેના મામાને કહ્યું હતું કે મામા મને આ લોકો ઉપાડી ગયા છે અને મને ખૂબ માર માર્યો છે.
પીડિતે સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
આરોપીઓ આનંદને વૈષ્ણોદેવી નજીક સરદારધામની પાછળ લઇ ગયા હતા. ત્યાં પણ આનંદને માર માર્યો હતો. દશરથ અને સાવનને ખબર પડી આનંદના મામા ફરિયાદ કરવા ગયા છે. એથી તેઓ આનંદને લઈને બહુચરાજી તેના ઘરે ગયા હતા. જ્યા દશરથ અને સાવનના માણસોએ આનંદના પરિવાર સાથે મોડી રાતે ઝઘડો કર્યો હતો. આનંદના પરિવારે દસ લાખ રૂપિયા આપવાની ના પાડતાં સાવન અને તેના સાગરીતો ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ આનંદે સરખેજ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.