વડોદરાનો દ્રારકેશ મિકેનિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનું પરિણામ સારું નહીં આવવાના કારણે તે ઘરમાંથી ભાગી ગયો હતો. ઘરમાંથી અચાનક ભાગી જતાં તેનો પરિવાર તૂટી ગયો હતો. 22 દિવસ બાદ પોલીસ અને ટેક્સી ડ્રાઈવરની મદદથી પરિવારને પુત્ર પાછો મળ્યો. આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. આ યુવક ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વડોદરાના આ યુવકને નોકરીની ઓફર આપી છે. હાલ સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાની વડોદરાના યુવકને કરાયેલી આ ઓફર વાયરલ થઈ છે.
વડોદરાથી ગુમ થયો દ્રારકેશ
22 દિવસ બાદ પોલીસની મદદથી શિમલાથી મળ્યો યુવક
યુવકને કરાયેલી આ ઓફર સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
આનંદ મહિન્દ્રાએ આપી દ્રારકેશને આ ઓફર
દ્વારકેશ નામના યુવકના સમાચાર વાયુવેગે ફેલાતા આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર લખ્યું કે, હું આ યુવકનો પ્રશંસક છું. તે પોતાની કાબેલિયત પર આગળ વધવા માંગે છે. હાલ એવું લાગે છે કે, તેણે ઘર છોડી દીધું છે પણ ભવિષ્યમાં તે સફળ, આત્મનિર્ભર ઉદ્યોગપતિ બની શકે છે. હું મારી કંપની મહિન્દ્રા રાઈઝમાં આ યુવકને ઈન્ટરનર્શિપની ઓફર આપીને ખુશ છું.
Doing a Sunday catch-up on my reading. I admire this young man.. He wanted to strike out on his own. He may seem just like an eccentric runaway, but he could also be tomorrow’s successful,independent entrepreneur. I’d be happy to offer him an internship at @MahindraRise ! https://t.co/0QnFG0ZyDz
વડોદરાનો દ્વારકેશ શિમલા પહોંચ્યો હતો, પરિવાર સાથે આ રીતે થઈ મુલાકાત
વડોદરાના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા ગુમ થયો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને શિમલામાંથી શોધી કાઢ્યો હતો. જાણીતા તેલના વેપારી રાકેશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કરનો પુત્ર દ્વારકેશ એસવીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે ગત 14 ઓક્ટોબરના રોજ કોલેજ જવાનું કહીને ઘરમાંથી નીકળી ગયો હતો. મોડી રાત સુધી દ્વારકેશનો સંપર્ક થયો ન હતો. પોલીસ રિપોર્ટ બાદ ઘણા સમય સુધી તેની કોઈ જાણકારી મળી નહીં. અચાનક પાદરાના ડી સ્ટાફના સંજયસિંહ ગોહિલ તથા તાલુકા પોલીસ સ્ટેશનના ભૂપેન્દ્રસિંહ મહીડા પોતાના પરિવાર સાથે શિમલા ફરવા ગયા હતા, ત્યારે પોલીસે તેઓને દ્વારકેશનો ફોટો મોકલ્યો હતો, અને તેને શોધવા માટે જણાવ્યું હતું. તેઓએ શિમલાના બજારમાં હોટલ તથા ખાણીપીણીની દુકાનોમાં ફરીને દ્વારકેશનો ફોટો બતાવી તેની શોધખોળ શરૂ કરી. ત્યારે શિમલાના એક ટેક્સી ડ્રાઈવરે દ્વારકેશને ફૂટપાથ પર સૂતેલો જોયો, તેણે ફોન કરીને પોલીસને જાણ કરી હતી. સંજયસિંહે દ્વારકેશનો કબજો લઈ પરિવારને તથા પાદરા પોલીસને જાણ કરી હતી. 22 દિવસ બાદ પુત્ર સાથે મિલન થતા જ પરિવાર ખુશખુશ થઈ ગયો હતો, અને દીકરાને લેવા શિમલા પહોંચ્યો હતો.
હોટલમાં નોકરી કરતો હતો દ્વારકેશ
માલેતુજાર પરિવારનો દ્વારકેશ ઘરમાંથી નીકળ્યો હતો ત્યારે તેની પાસે માત્ર 2500 રૂપિયા હતા. તે ટ્રેન દ્વારા દિલ્હીથી સિમલા પહોંચ્યો હતો. શિમલા પહોંચીને તે થોડા દિવસ આમતેમ ભટક્યો હતો. રાત્રે ફૂટપાથ પર સૂઈ જતો. બાદમાં રૂપિયા ખૂટી જતા વધારે રૂપિયા કમાવવા અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે તે શિમલાની ખાણીપીણીની લારીઓ પર કામ કરતો હતો.
ઘર છોડવાનું કારણ
દ્વારકેશ ઠક્કર એસવીઆઈટી કોલેજમાં મિકેનિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનું પરિણામ સારું નહીં આવવાના કારણે તે ઘરમાંથી ભાગી ગયો હતો. આ નિવેદન તેણે પોલીસના પૂછવા સમયે આપ્યું હતું.