રાજ્ય (Gujarat) માં હવે અકસ્માતની ઘટનાઓની તો જાણે કંઇ નવાઇ જ નથી રહી. કારણ કે રાજ્યમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આજે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો.
આણંદના ધર્મજ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના
ત્રણ ખાનગી લક્ઝરી બસ એકબીજા સાથે અથડાઈ
15 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા
આણંદના ધર્મજ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ખાનગી લક્ઝરી બસ એકબીજા સાથે અથડાતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આથી, તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી.
2 દિવસ અગાઉ જ ધર્મજ-તારાપુર હાઈવે પર લક્ઝરી બસે પલટી ખાધી હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર હાઈવે માર્ગ ઉપર વહેલી પરોઢના સુમારે પૂરઝડપે જઈ રહેલી એક લક્ઝરી બસ પલટી ખાઈ જતા બસમાં સવાર આશરે 10 જેટલા મુસાફરોને ઈજાઓ થઇ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો ગંભીર અકસ્માત
તદુપરાંત થોડાક દિવસો અગાઉ રાજ્યમાં સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર એક પેસેન્જર વાન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાનપરા પાટીયા નજીક એકાએક ડમ્પર પાછળ પેસેન્જર વાન ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટના ઘટતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા.
રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે
ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે. દર બીજા એક્સિડન્ટ (અકસ્માત) માં એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. વર્ષ 2021માં દેશમાં 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા છે. જેમાં 1.73 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના ગાળામાં થાય છે
ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસો નોંધાયા છે. જેમાંથી રાજ્યમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી. ગુજરાતમાં 2021માં 8,036 લોકોનાં મૃત્યુ થયા છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થયા છે. 2020માં ગુજરાતમાં 13,898 ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો. ટ્રાફિક અકસ્માતોમાં 15,200 બનાવો રોડ અકસ્માતોના હતા જ્યારે 571 બનાવ રેલવે અકસ્માતોના હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇ્સ ઇન ઇન્ડિયા, 2021' ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.
રાજ્યમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાં નેશનલ હાઇવે પર 3,376 અકસ્માતોમાંથી 2,017 લોકો, સ્ટેટ હાઇવે પર થયેલા 4,420 અકસ્માતોમાં 2,543 લોકો જ્યારે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતોમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ સિવાયના અન્ય 7,360 રોડ અકસ્માતોમાંથી 2,864 લોકોનાં મૃત્યુ થયા હતાં.